ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં 2 તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે. તેવામાં અત્યારે ચૂંટણી પંચે આગામી મતદાન માટેની તમામ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી બહાર પાડી હતી. જેમાં મતદાન કેન્દ્ર સહિતની સુવિધાઓ વિશે જણાવાયું હતું. તેવામાં શું તમે જાણો છો કે એક એવું મતદાન કેન્દ્ર પણ છે જ્યાં એક માત્ર મતદાતા છે. એમના માટે ચૂંટણી પંચ ખાસ બૂથની વ્યવસ્થા પણ કરવાનું છે. જાણો વિગતવાર…
ચુંટણી પંચ આજે ગુજરાત ચુંટણીની ઘોષણા કરતા ખાસ ઉલ્લેખ કર્યો છે કે એક વ્યક્તિ માટે પણ બુથની વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે જ કહ્યું છે કે ગીર જંગલની અંદર બાણેજ માં પૌરાણિક મંદિરના મહંત હરિદાસ માટે ખાસ એક બુથ બનશે અને લોકશાહી પ્રણાલી જાળવી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહંત હરિદાસ સ્વ. ભરતદાસ બાપુના અનુગામી છે. આ બુથ પર મતદાન કરનાર મહંત એક જ વ્યક્તિ હશે આ માટે ખાસ 15 વ્યક્તિઓનો સ્ટાફ ફરજ બજાવશે.
સ્પેશિયલ બુથ કોના માટે આયોજિત કરાતું?
અહીં વાત થઈ રહી છે બાણેજના મહંત ભરતદાસ બાપુની.. ગીર જંગલમાં એક પૌરાણિક મંદિર આવેલું હતું અને તેઓ અહીં પુજારી હતા. મહંત ભરતદાસ માટે ચૂંટણી પંચની ટીમ દ્વારા 5 લોકોની ટીમ મોકલવામાં આવતી હતી. આ ટીમ દરેક ચૂંટણીમાં આવતી અને ખાસ બુથની વ્યવસ્થા કરતી હતી. આ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પણ હતું. પરંતુ હવે 2 વર્ષ પહેલા 1 નવેમ્બર 2019ના દિવસે બાણેજના મહંતનું નિધન થયું હતું. હવે તેમના અનુગામી મહંત હરિદાસ માટે બુથ પર મતદાન કરાશે.
એક મત અને 100% મતદાન થઈ જતું…
2002થી સતત ભરતદાસ માટે ચૂંટણી પંચ આ બૂથની વ્યવસ્થા કરી રહ્યું હતું. સવારે ભરતદાસ મતદાન કરવા માટે આવતા હતા. તેઓ જેવો પોતાનો મત દાખલ કરતા કે તાત્કાલિક અહીં વોટ કાઉન્ટ 100% થઈ જતું હતું. તેમ છતા સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી બૂથ પર હાજર રહેતો હતો. આ સ્પષ્ટપણે લોકશાહીનું પ્રશંસનીય ઉદાહરણ હતું. હવે આ વારસાને મહંત હરિદાસ માટે પણ જાળવી રાખવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા અહીં બૂથ રખાશે.
ગિર જંગલ એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત છે એવા ગાઢ જંગલ અને ખૂંખાર વન્યજીવો હોવા છતાં ભરતદાસ મંદિરમાં એકલા જ રહેતા હતા. ભારતના જાગૃત નાગરિક હોવાનું પ્રમાણ તેઓ આપતા હતા. આની સાથે તેઓ લોકોને પણ મતદાન કરવાની સલાહ આપતા હતા.