Published By : Patel Shital
- દહેજ, વાગરા, સાયખા, જંબુસર, વિલાયત, ઝઘડિયા, પાનોલી, પાલેજ, વાલિયામાં હજારો કરોડોના ઉધોગો પણ એક મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ નહિ…
- આમોદ, હાંસોટ અને નેત્રંગ તાલુકામાં પણ અદ્યતન હોસ્પિટલનો અભાવ…
- ઔદ્યોગિક, આકસ્મિક, કુદરતી મોટી હોનારતમાં પીડિતોને સમય વેડફી ભરૂચ-અંકલેશ્વર લાવવાની પડતી ફરજ…
ભરૂચની ઔદ્યોગિક અને વેપારિક જાહોજલાલી આજે વિશ્વસ્તરે પ્રસરી રહી છે. દેશનું લઘુ ભારત એવું ભરૂચ ગ્રોથ એન્જીન છે ત્યારે દેશની નિકાસમાં છઠા ક્રમે રહેલો જિલ્લો આરોગ્ય ક્ષેત્રે હજી ઘણો પાષણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. વાગરાના ગંધાર દરિયા કિનારે 19 મે ને શુક્રવારે બનેલી કરુણાંતિકામાં 6 જિંદગીઓ 40 કિલોમીટર દૂર ભરૂચ જીવ બચાવવા લાવવા સુધીમાં કાયમ માટે હારી ગઈ હતી. ત્યારે સ્વજનો અને જિલ્લાની પ્રજામાં ફરી જો અને તો નો સવાલ ઘૂંઘવાયો છે. જો તાલુકા મથક વાગરા કે દહેજ ખાતે મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ હોત તો સંભવત સારવાર મળી રહેતા 6 જિંદગીમાંથી કેટલાક જીવ બચાવી શકાયા હોત.

જિલ્લામાં કોઈ પણ ઔદ્યોગિક, આકસ્મિક કે કુદરતી મોટી ઘટના કે દુર્ઘટના બને તો આવી હોનારતમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા લોકોને જિલ્લાના વડું મથક ભરૂચ કે અંકલેશ્વર લાવવાની ફરજ પડે છે. ભરૂચ જિલ્લામાં 9 તાલુકા છે. જેમાં 11 સ્થળોએ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ GIDC આવેલી છે. પણ માત્ર અંકલેશ્વર અને ભરૂચ ખાતે જ અદ્યતન હોસ્પિટલ છે. દહેજ, વાગરા, સાયખા, જંબુસર, વાલિયા, ઝઘડિયા, પાલેજ, પાનોલી, વિલાયત ઔદ્યોગિક વસાહતો અને આમોદ, નેત્રંગ તેમજ હાંસોટ તાલુકામાં પણ અદ્યતન આરોગ્ય સેવાનો અભાવ જોવા મળે છે. હાલમાં જ રાજ્ય સરકારે આમોદમાં પણ GIDC સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે નદી, દરિયોને લઈ કુદરતી, કૃત્રિમ, ઔદ્યોગિક, આકસ્મિક આપત્તીઓનો સતત ખતરો ધરાવતું દેશનું લઘુ ભારત ભરૂચના તમામ તાલુકા અને ઔદ્યોગિક સ્થળે એક અદ્યતન આરોગ્ય કેન્દ્ર સમયની માંગ પ્રમાણે ઝંખી રહ્યું છે.