- ગીધના સંરક્ષણ અને સંવર્ધન મુદ્દે ઉપયોગી થશે
કચ્છમાં બે દિવસીય ગીધ પક્ષીની વસ્તી ગણતરી રાજ્યભર સાથે પૂર્ણ થઇ ચૂકી છે,ત્યારે જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર કેટલા બચ્યા તે આંકડો જ હાલની સ્થિતિ દર્શાવશે. ભૂતકાળમાં એક નજર કરીએ તો વર્ષ ૨૦૦૫માં કચ્છમાં ૯૧૦ ગીધ હતા,જે ઘટી ઘટીને વર્ષ ૨૦૧૮માં માત્ર ૪૪ની સંખ્યામાં બચ્યા હતા.પાંચ વર્ષ બાદ ફરી થયેલી ગણતરીથી તાજેતરનો આંકડો સામે આવશે.ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન દ્વારા વનવિભાગ સાથે સંયુક્ત રીતે ગીધની વસ્તી ગણતરી કરાઈ છે.ગીધ પક્ષી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ અનૂસુચિ-૧ માં મુકાયેલું છે,જે કચ્છમાં જોવું ખૂબ જ દુર્લભ છે.
જિલ્લામાં પોલડિયા,અબડાસા અને કાળાડુંગર વિસ્તારમાં મુખ્યત્વે ગીધ જોવા મળે છે.જેમાં સફેદપીઠ ગીધ,ગિરનારી ગીધ,રાજગીધ,ઉજળો ગીધ,પહાડી ગીધ,ડાકુ ગીધ,જટાયુ ગીધ અને ખેરો ગીધ સહીત કચ્છમાં નોંધાયેલા છે. જિલ્લામાં વનવિભાગના ચારેય ડિવિઝન દ્વારા આ ગણતરીમાં નોંધ કરાઈ હતી.અધિકારીઓ,પ્રકૃતિપ્રેમીઓ,ઝૂલોજીના વિદ્યાર્થીઓ સહિતના જોડાયા હતા. પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,આ વર્ષે શિયાળામાં વસ્તી ગણતરી થતી હોઈ પ્રવાસી ગીધની પણ નોંધ મહત્વપૂર્ણ સાબિત થશે. આ આંકડા ગીધ પક્ષીના સંરક્ષણ અને સંવર્ધન મુદ્દે ખૂબ ઉપયોગી સાબિત થશે.