Published by : Vanshika Gor
નખત્રાણા તાલુકાના વિજપાસર ગામે પ્રેમલગ્ન બાબતે મહિલાને જીવતી સળગાવાનો કિસ્સો સામે આવ્યું છે. યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ ઘરમાં ઘુસી યુવકની માતાને સળગાવી દીધી હતી. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવી હતી. નખત્રાણા પોલીસે આ બનાવ બાબતે વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિજપાસર ગામમાં યુવતીએ પ્રેમલગ્ન કરતાં ઉશ્કેરાયેલાં પરિવારજનોએ યુવકના ઘરમાં ઘૂસી જઈને યુવકની 45 વર્ષની માતા સાથે મારકૂટ કરીને તેના પર પેટ્રોલ અને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો ત્યારે પ્રેમલગ્ન કરનાર બંને યુવક યુવતી નારાજ પરિવારજનોના ડરના કારણે પોલીસની મદદ લેવા પોલીસ સ્ટેશન પર હાજર હતા.
આ દરમિયાન સાંજના સમયે રિધ્ધિની માતા, ભાઈ, બે બહેનો સહિત પંદરેક સ્ત્રી-પુરુષોએ હેમંતના ઘરે જઈ તેની 45 વર્ષની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ સાથે ધોકાથી મારકૂટ કરી હતી. ગુસ્સે ભરાયેલા રિધ્ધિના પરિવારજનોએ યુવકના માતા રાધાબેનની હત્યા કરવાના હેતુસર તેમના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં તે બળવા માંડ્યાં હતા.
રાધાબેન ગંભીર રીતે બળી જતા તેમને વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાઘાબેન એટલી હદે બળી ગયા હતા કે, તેમના મહત્તમ શરીરનો ભાગ બળી ગયો હતો.નખત્રાણા પોલીસ એ આરોપીઓને ઝડપી લેવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.