વડોદરા નજીક આવેલા ખટંબા ગામ પાસેના શંકરપુરા ગામના પેટાપરા પવલેપુર ગામના તળાવમાં વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા મોડી રાત્રે એકવિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બીજા વિદ્યાર્થીની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવે અરેરાટી ફેલાવી દીધી હતી.
આ કરુણ ઘટના અંગે મળેલી વિગત મુજબ શંકરપુરા ગામ પાસેના પવલેપુર ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે યુવાનો ડૂબી જતાં લાપતા થયા હોવાની જાણ તળાવ પાસેના ખેતરમાં કામ કરતા દીપકભાઈ ભરવાડ નામના વ્યક્તિએ વડોદરા ફાયર બ્રિગેડને કરી હતી. આ બનાવવાની જાણ થતાની સાથેજ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તળાવમાં ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. સમી સાંજે ડૂબી ગયેલા બે વિદ્યાર્થીઓ પૈકી 22 વર્ષિય મનોહર બાલાજી ઇગલા (રહે. B , 65, અનંતા શુભલક્શમી સોસાયટી, શંકરપુરા ગામ, વડોદરા ) નો મૃતદેહ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો. જયારે તળાવના ઉડા પાણીમા લાપતા 21 વર્ષિય સાઇ ધીરજ કામીશેટ્ટી (રહે. B, 65, અનંતા શુભલક્શમી સોસાયટી, શંકરપુરા ગામ, વડોદરા) મોડી રાત સુધી મળી આવ્યો ન હતો. ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ જારી રાખવામાં આવી હતી.
તળાવમાં ડૂબી ગયેલા બંને યુવાનો મૂળ આધ્રપ્રદેશના વતની છે. તેઓ શંકરપુરા ગામ પાસે અનંતા શુભલક્શમી સોસાયટીમાં એકજ મકાનમાં રહેતા હતા. મોતને ભેટેલ મનહર ઇગલા પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરીગ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે સાઇ કામીશેટ્ટી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીગમા અભ્યાસ કરે છે.
પવલેપુર ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની જાણ યુનિવર્સિટીમાં થતાં સન્નાટો વ્યાપી ગયો હતો. કેટલાક મિત્રો તળાવ ખાતે દોડી આવ્યા હતા. તે સાથે ગામ લોકો પણ ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાંથી બહાર કાઢવામાં આવેલી મનહર ઇગલાનો મૃતદેહ પોલીસને સોપ્યો હતો. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે બંન્ને યુવાનોના આધ્રપ્રદેશ ખાતે રહેતા પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો વડોદરા આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.