હાલના દિવસોમાં સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામા પણ કાતીલ ઠંડીનુ વાતવરણ જણાઈ રહ્યું છે. જેથી ભરૂચ જિલ્લાનાં વાલીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. સાથે જ તેઓ સવારની શાળાના સમયમા ફેરફારની માંગણી કરે તેવી સંભાવના જણાઈ રહી છે.
હાલમા શિયાળાની હાંજા ગગડાવતી ઠંડીનો અનુભવ રાજયવાસીઓ કરી રહયાં છે. ભરૂચમાં પણ તાપમાનનો પારો ગગડીને 10 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. શિયાળાની આવી જમાવટ વચ્ચે રાજકોટની જસાણી હાઇસ્કુલમાં એક છાત્રાનું ખેંચ આવ્યાં બાદ મોત થયું છે. જૉકે મૃતકની માતાનો આક્ષેપ છે કે, ઠંડીના કારણે તેમની પુત્રીનું લોહી જામી જતાં મોત થયું છે. માતાના આક્ષેપ બાદ રાજયભરના વાલીઓમાં ચિંતાનું મોજુ જોવા મળી રહયું છે. ભરૂચમાં પણ સવારની પાળીમાં ચાલતી શાળાઓનો સમય એક કલાક મોડો કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહયા છે.
આ બાબતે વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા માટે પણ જવાના હોવાનુ જાણવા મળેલ છે. શિયાળાની ઠંડીમાં શાળાઓ સવારે 8 વાગ્યે ચાલુ કરવામાં આવે તે જરૂરી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. આ બાબતે ભરૂચના ડીઇઓ કિશન વસાવાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતુ કે, આ બાબતે ઉપરી અધિકારીઓ તરફથી કોઇ સુચના મળી નથી પણ સુચના અને રજૂઆત હશે તો વિચારણા કરીશુ એમ તેમણે જણાવ્યું હતું.