Published by : Rana Kajal
ધનતેરસના બીજા દિવસને નરક ચતુર્દર્શી, રૂપચૌદશ અને કાળીચૌદસ કહે છે. આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રીકૃષ્ણએ 16100 કન્યાઓને કેદમાંથી મુક્ત કરીને તેમને સન્માન આપ્યુ હતુ. આ જ ઉપલક્ષ્યમાં આ દિવસે અસંખ્ય દિવાઓ પ્રગટાવવામાં આવે છે. આ દિવસને લઈને માન્યતા છે કે આ દિવસે સૂર્યોદય પહેલા ઉબટન લગાવીને સ્નાન કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.કાળી ચૌદસ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાનના પશ્ચિમી રાજ્યોમાં ઉજવવામાં આવે છે. કાલી એટલે મહાકાળી માતા. આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક કથા રહેલી છે.
કાળી ચૌદસની પૌરાણિક કથા
ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો અને મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે, રંતિ દેવ નામના એક આદર્શ રાજા હતા. પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા. જેના કારણે તેમને શ્રાપ મળ્યો હતો અને તે રાજાનો મૃત્યુનો સમય નજીક આવી ગયો હતો . રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા હતા. પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો અને રાજાનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું હતું ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે ત્યારબાદ રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો હતો અને યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો હતો.
બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો. રાજાએ એવું જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુરા શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર, કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.