ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આજે જામખંભાળિયામાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યુ હતુ તથા કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, ‘કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું. કોંગ્રેસ સત્તામાં નથી તો કઇ રીતે કામ બોલે છે. કામ ભાજપે કર્યા છે કોંગ્રેસે નહીં.’
અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, પાકિસ્તાનનાં ઘરમાં ઘૂસીને આતંકવાદ ખતમ કર્યો છે. આ વખતે ધારાસભ્ય બદલજો. આ સાથે આપ પર પણ પ્રહાર કરતા જણાવ્યુ કે, AAP વાળાને મેઘા પાટકરનું પૂછજો. બેટ દ્વારકાના દબાણો હટાવવા અંગે અમિત શાહે જણાવ્યુ કે, વર્ષોથી બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હતા. જેને ભુપેન્દ્રભાઇ અને હર્ષ સંઘવીએ દૂર કર્યા. તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આપણું બેટ દ્વારકા સ્વચ્છ થવું જોઇએ.
આજે ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવી રહ્યા છે. આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધીને મતદારોને સમજાવશે.