ગીર સોમનાથ જિલ્લામાં વસતા 3,481 સીદી સમાજના મતદારો માટે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચ ત્રણ અલાયદા મતદાન બુથ તૈયાર કરશે. આ બુથો વિવિધતામાં એકતા અને ભારતીય લોકશાહીની શક્તિના સાક્ષી આપનાર બનશે. સદીઓ પહેલા જૂનાગઢના નવાબ દ્વારા મજૂરી કામ માટે ગુલામ તરીકે લવાયેલા આફ્રિકન પ્રજાતિના લોકો વર્ષો બાદ હવે પૂર્ણતઃ ભારતીય બન્યા છે. ભાષા અને રહેણી કરણી થી લઈને મતાધિકાર સુધી ભારતીયતા તેઓની રગેરગમાં ઝળકે છે.
કેવી રીતે સીદી સમાજના લોકો ગુજરાત આવ્યા?
અંદાજે 15મી સદી બાદ જૂનાગઢના તત્કાલીન નવાબે ઉપરકોટનો કિલ્લો બંધાવવા માટે મજબૂત ગુલામો તરીકે આફ્રિકાથી આફ્રિકા મૂળના અશ્વૈત લોકોને લાવેલા હતા. ઉપરકોટના કપરા ચઢાણમાં પણ આફ્રિકન પ્રજાતિના આ લોકોએ કોઈપણ યાંત્રિક મદદ વગર અનેક ટનનો વજન ચડાવ્યો. કિલ્લાનું કામ પૂર્ણ થયા બાદ આ ગુલામોથી છુટકારો મેળવવા માટે નવાબે તેને ગીર જંગલની મધ્યમાં જાંબુર નામનું નાનું એવું ગામ આપ્યું. વિચાર એવો હતો કે સિંહો આ પ્રજાતિને ખાઈ અને ખતમ કરી દેશે. પરંતુ આફ્રિકામાં સિંહો સાથે ઉછરેલી આ પ્રજાતિ એશિયાઈ સિંહોને જોઈને વધુ ઉત્સાહિત થઈ તેમને થયું કે પોતે વતન પહોંચી ગયા. અને આ રીતે સદીઓથી તેઓ ગીરના જાંબુર ગામમાં વસ્યા છે. સિંહ સાથે સહઅસ્તિત્વ ધરાવવું એ સીદી સમુદાયે વિશ્વને શીખવ્યું છે.
ગીરમાં જ સીદી સમાજ માટે ત્રણ મતદાન મથકો તૈયાર કરાશે
સીદી સમાજ એ ગુજરાતની અસ્મિતાનો અભિન્ન અંગ છે. દેશ વિદેશમાંથી આવતા મહેમાનો આફ્રિકી ભારતીય સીદી સમાજનું ધમાલ નૃત્ય જોવાનું અચૂક પસંદ કરે છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ગુજરાતના અભિન્ન અંગ પરંતુ ભૃપૃષ્ઠ અને લાક્ષણિકતાની દ્રષ્ટિએ આ વિશિષ્ટ પ્રજાતિને ચૂંટણી પ્રક્રિયામાં વિશેષ સન્માન આપ્યું છે. સીધી સમુદાય માટે જાંબુર અને માધુપુર ગામે ત્રણ વિશેષ બુથ તૈયાર કરવામાં આવશે કુલ 3481 સીદી સમાજના મતદારો પોતાના માટે ખાસ બનેલા બૂથમાં મતદાન કરશે અને પોતાની ભારતીયતાનો ગૌરવ લેશે.
મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકામાં ભણ્યા અને બેરિસ્ટર તરીકે ત્યાં સેવા પણ આપી. પોતાનો પ્રથમ સત્યાગ્રહ અને પ્રથમ આશ્રમ પણ ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કર્યા હતા. ત્યારે ભારત અને આફ્રિકાની મિત્રતા તેમજ મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્વરૂપે ગીર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વિશેષ બુથ બનાવવામાં આવશે આ લોકશાહીની સુંદરતા અને વૈવિધ્યતાના ઉદાહરણ રૂપ બનશે.