- લુપ્ત થતી ગીર ગાયની જાત અંગે અનોખી સિધ્ધિ…અમરેલીમાં આઇવીએફથી ગીર ગાયનું સંવર્ધન….
ગીર ગાયો સોથી ઉત્તમ ગાય તરીકે પ્રસિધ્ધ છે. પરંતું ગીર ગાયોની સંખ્યા ઘટી રહી હતી.જેથી પશુપાલકો ચિંતિત બન્યા હતા. પરંતું હવે આ સમસ્યાનો અંત આવતા પશુપાલકોની દુનિયામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે..
અમરેલીમા કેન્દ્ર અને રાજય સરકાર તથા અમર ડેરીના સંયુકત ઉપક્રમે સમગ્ર દેશભરમા સૌપ્રથમ વખત ગીર ગાયનુ આઇવીએફ થકી સંવર્ધન કરવાની યોજના અમલમા મુકવામા આવી છે. ગઇકાલે તા 2 ડિસેમ્બરના રોજ અમરેલીમા દેશની પ્રથમ આઇવીએફ વાનનુ લોકાર્પણ કરાયુ હતુ. ગર્ભધાનનો તમામ ખર્ચ સરકાર અને અમર ડેરી ભોગવશે. આગામી એકાદ દાયકામા આ વિસ્તારમા આનાથી મોટા પ્રમાણમા ગીર ગાય પેદા થશે. હાલમા દેશમા અસલ ઓલાદની ગીર ગાય શોધવા જતા પણ જડતી નથી.હાલમાંતો માત્ર નવ સ્થળેજ ગીર ગાયની ઓરીજનલ નસલ જણાય છે. ત્યારે આવનારા એક દાયકામા આ વિસ્તારમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવુ મહા અભિયાન હાથ ધરવામા આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની પહેલથી પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયુ છે જે અંતર્ગત ગીર ગાયો માટે આઇવીએફ વાનનુ ગઇકાલે રૂપાલાના હસ્તે અમરેલીમા લોકાર્પણ કરાયુ હતું.
આ એક રીતે પશુઓ માટેની ટેસ્ટ ટયુબ બેબી ટેકનીક છે. જેમા ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમા ભ્રુણને વિકસાવવામા આવશે. અને ત્યારબાદ આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કુખ ભાડે આપવા જેવુ છે. ગમે તે ગાય હોય તેની અસર પેદા થનારા વાછરડા પર નથી થતી અને વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. આ રીતે ખુબ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.
ગીર ગાય એક સમયે 15 લીટરથી પણ વધુ દુધ આપવા સક્ષમ છે. દેશમા હાલમા તેની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી છે. પરંતુ આ સંખ્યા ઝડપથી વધારવા માટે પશુપાલન મંત્રાલય દ્વારા આ ખાસ પહેલ કરાઇ છે. કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાએ બ્રાઝીલની લીધેલી મુલાકાતમા આ ટેકનીક જોઇ હતી અને હવે એ ટેકનીક દેશમા લાવી તેનો સૌપ્રથમ અમલ અમરેલીથી શરૂ કર્યો છે.અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. શરૂઆતમા 200 ગાયોને આઇવીએફ ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયુ છે. અને ત્યારબાદ આ સંખ્યાને આગળ લઇ જવાશે.
ઍવી ગણતરી છે કે 1 ગાયમાંથી 125 વાછરડા પેદા થશેઆઇવીએફ ટેકનીકનો ઉપયોગ કરી એક ગીર ગાયના આધારે 125થી વધારે ભ્રુણ વિકસાવી તેના વાછરડા પેદા કરી શકાશે. સામાન્ય રીતે ગીર ગાય સહિત કોઇ ગાય પોતાના જીવનકાળમા આટલા વાછરડા પેદા કરી ન શકે.અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાએ જણાવ્યું હતુ કે એક ગાયને ભ્રુણ પ્રત્યાર્પણ કરવાનો ખર્ચ રૂપિયા 21 હજાર આવશે. જેમાથી કેટલીક રકમ કેન્દ્ર સરકાર અને અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે.ગાયોની કોઇપણ નસલને સુધારવા માટે પાંચ સાયકલ કવર કરવી પડે છે. મતલબ કે ગાયની પાંચ પેઢી પસાર થાય પછી નસલ સુધરે છે જેમા લાંબો સમય પસાર થઇ જાય છે. નવી ટેકનીકથી લાંબો સમય પસાર કરવો નહી પડે.