Published By:-Bahvika Sasiya
રાજ્યમાં અંગદાનનુ મહત્વ સતત વધી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા આવી રહી છે જેના કારણે અંગોના વાંકે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા લોકોને નવજીવન મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષમાં 873 લોકોને અંગદાન થકી નવજીવન મળ્યું છે ત્યારે આ સંખ્યામાં હજુ વધારો થાય તે માટે વિવિધ સંસ્થાઓ અગ્રેસર રહીને કામ કરી રહી છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંગદાન મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.જે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ઉપરાંત આરોગ્ય મંત્રી, ટીમ ઈન્ડિયાના ક્રિકેટર જસપ્રિત બુમરાહ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-ગુજરાત, સોટ્ટો (સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સ્પ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) અને ગુજરાત મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે અમદાવાદથી અંગદાન મહોત્સવની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમને સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે કીડીને કણ, હાથીને મણની આપણી સંસ્કૃતિ રહી છે. વસુધૈવ કુટુમ્બમ એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે ની ભારતીય ફિલોસોફી મૃતક અને બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારને આવા સભ્યના અંગોનું દાન કરવા જેવા ઉમદા હેતુ માટે પ્રેરણા આપશે. ગયા વર્ષે ગુજરાતમાંથી 670 જીવિત વ્યક્તિઓ અને 203 બ્રેઈન ડેડ વ્યક્તિઓના પરિવારોએ અંગદાનનો નિર્ણય લીધો હતો જેના કારણે રાજ્યમાં કુલ 817 લોકોને નવજીવન મળ્યું છે. અમદાવાદના આશ્રમ રોડ સ્થિત હયાત રીજન્સી ખાતે યોજાયેલા અંગદાન મહોત્સવ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રના અગ્રણીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કોર્પોરેટ જગતના અગ્રણીઓ અને વરિષ્ઠ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સુરત, અમદાવાદ, રાજકોટ, ભૂજ સહિતના જિલ્લાઓમાંથી આવેલા દસ દાતા પરિવારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે અથાક મહેનત કરતી બિન સરકારી સંસ્થાઓ, સરકારી વિભાગો, પોલીસ અને ડૉક્ટરોના પ્રયાસને પણ બિરદાવ્યો હતો..