Published by : Vanshika Gor
ગરમીની શરૂઆત વચ્ચે ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નર્મદા ડેમની ઊંચાઇ વધાર્યા બાદ રાજ્યને પહેલીવાર આ વર્ષે 11.7 એમએએફ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં મહત્તવનો નિર્ણય લેવાયો છે. નર્મદા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7 MAF પાણી આપવાનો નિર્ણય થોડા દિવસ અગાઉ ભોપાલ ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની મળેલી બેઠકમાં લેવાયો છે.
નર્મદા ડેમમાંથી અત્યાર સુધી ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ (MAF) પાણી આવતું હતું તેના બદલે આ વર્ષે 11.7 MAF પાણી આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે ગુજરાતને આ વખતે ચોમાસા સુધી પાણીની કોઇ તકલીફ નહીં પડે. નર્મદા ડેમની ઉંચાઈ વધારાયા બાદ ગુજરાતને પ્રથમ વખત આટલી મોટી જળરાશિ મળવા જઈ રહી છે. સરકાર 80 ડેમ 150 તળાવ, 900થી વધુ ચેકડેમ નર્મદાના પાણીથી ભરી શકશે.
સૌની યોજના હેઠળના ચેકડમ, તળાવ નર્મદાના નીરથી ભરાશે. ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છને ઉનાળામાં પાણી વગર ટળવળવું નહીં પડે. સિંચાઇ માટેના પાણીની સમસ્યા પણ નહીં ઉદભવે.આ વધારાનું પાણી મળતાં ગુજરાતના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થઇ શકે છે.આ સાથે આ વખતે કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ ગુજરાત માટે લેવાયેલો આ નિર્ણય ઘણો જ કારગર સાબિત થઇ શકે છે.