- ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવ્યા તેમજ નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી
- 6 નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીની હાર બાદ એક નવો વળાંક આવ્યો છે. હાર બાદ AAPમાં આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે હંમેશા વિવાદોના પર્યાય બનનારા ગોપાલ ઈટાલિયાને પક્ષ દ્વારા સાઈડલાઈન કરવા માટે ગુજરાત બહાર મોકલી દેવામાં આવ્યાં છે. એટલે કે, ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમજ નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે 6 અન્ય નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાંથી જીત મેળવ્યા બાદ ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. અલ્પેશ કથિરીયાને સુરત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. તો રમેશ પટેલને ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જગમલ વાલાને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામા આવી છે. મધ્ય ગુજરાતની જવાબદારી જેવેલ વાસરા અને કચ્છની જવાબદારી કૈલાશ ગઢવીને આપવામાં આવી છે.





