- ગુજરાતી ગરબામાં ભક્તિ સાથે સામાજિક સંદેશો પણ થશે વહેતો
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 90 થી વધુ અંગદાન
- VVIP કરતા પણ અંગદાનમાં મળેલા અંગોને ગ્રીન કોરિડોર દ્વારા વધુ ઝડપે એરપોર્ટ ઉપર પહોંચાડાઈ
ગુજરાતમા આ વખતે નવરાત્રીમાં ભક્તિ સાથે સામાજિક અંગદાનનો સંદેશો પણ વહેતો થશે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા અંગદાનનો ગરબો આજે મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યના રમત – ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંગદાનનો ગરબો લૉન્ચ કર્યો હતો. રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ પણ જોડાયા હતા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે , અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સાથે સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પણ પ્રદાન કરશે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ દાદા અને સરકારની અથાગ મહેનત , પરિશ્રમ અને પ્રયાસોથી આજે અંગદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં વેગવંતી બની છે. મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા જરૂરિયાતમંદ પીડિત દર્દીને અંગદાન થકી નવજીવન મળી રહ્યું છે.
જેના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં 90 થી વધુ અંગદાન થયા છે. ગ્રીન કોરિડોરના સફળ વ્યવસ્થાપનના પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ સુધી વીવીઆઇપીથી વધુ ઝડપે માત્ર 6 મિનિટમાં અંગોને સફળતાપૂર્વક પહોંચાડવામાં આવે છે. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતકાર મનુભાઈ રબારીના સંકલનથી તૈયાર કરાયેલા અંગદાનનો ગરબો અંગદાનની પ્રેરણા વધારવા સાર્થક સાબિત થશે. તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.