ભારત કૃષિ પ્રધાન દેશ છે જ્યા ખેડૂતો વિવિધ પાક ઉગાડી લોકો સુઘી ન્યૂટ્રિશનથી ભરેલી શાકભાજી કઠોળ પહોંચતા કરે છે.ત્યારે હાલના સમયમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. જેથી કરી જે પણ પાક તેઓ લે તેમાં પેસ્ટિસાઈડસ્ડનો ઉપયોગ ન કરવો પડે અને જે લોકો તે શાકભાજી કે અનાજ આરોગે તેને કોઈ પણ પ્રકારની નુકસાની ન થાય અને લોકોનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે.જિજ્ઞાસુ ખેડૂતે પોતાના ખેતરમાં એક નવતર પ્રયોગ કરી લાલ ભીંડાની ખેતી કરી છે.આ અનોખા લાલ ભીંડાની ખેતી કરી ખેડૂત ચર્ચાનો વિષય બન્યા છે.

ગોંડલના ઘોઘાવદર ગામના આ ખેડૂતલાલ ભીંડાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. એટલું જ નહીં તેઓએ પોતાના ખેતરમાં કાંટાવાળા રીંગણાનું પણ વાવેતર કર્યું છે. વિપુલભાઈ પોકરને માહિતી મળી હતી કે, ખેતરમાં લીલો નહીં પરંતુ લાલ ભીંડાનું ઉત્પાદન પણ મેળવી શકાય છે. આ માહિતી મળતા જ આ તેઓએ વિવિધ જગ્યાએથી માહિતી એકત્ર કરી અને સ્પેશિયલ બહારના રાજ્યમાંથી લાલ ભીંડાનું બિયારણ મંગાવ્યું હતું. તેના માટેની જરૂરી પ્રક્રિયા પણ પોતાના ખેતરમાં કરી અને હાલ ભીંડાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વાતની જાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને થતા લોકો પણ આ અનોખા ભીંડાને જોવા અને માહિતી લેવા વિપુલભાઈના ખેતરે આવવા લાગ્યા છે. આ ભીંડો ખરીદનાર લોકો જણાવે છે કે, લીલા ભીંડા કરતા આ લાલ ભીંડો સ્વાદમાં મીઠો હોય છે અને તેના શાકનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

જંતુનાશકના ઉપયોગ વગર ગાય આધારિત ખેતી કરે છે ખેડૂત
વિપુલભાઈ આઠ ધોરણ સુધી ભણેલા છે. આ ખેડૂત ભીંડા ઉપરાંત સીતાફળ, દુધી સહિતના અનોખા ખેત પાકોનું ઉત્પાદન મેળવે છે. પોતાના ખેતરમાં આ અનોખું ઉત્પાદન લેવા માટે કોઈ જ જંતુનાશક દવાનો ઉપયોગ કરી રહ્યા નથી. તેઓ સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તેઓને પોતાના ખેતરમાં તૈયાર થતા ખેતીના પાકને બજાર સુધી વેચવા પણ જવું પડતું નથી. તેમણે પોતાના ખેતરમાં જ આ વેચાણ વ્યવસ્થા કરી છે. દૂર દૂરથી લોકો તેમને ત્યાં આ અવનવા ખેત પાકો ખરીદવા આવે છે. તેમનું કહેવું છે કે પોતે યુટ્યુબની મદદથી અવનવા ખેતપાકોનું રિસર્ચ કરે છે અને તેની માહિતી મેળવી તે પ્રમાણે ખેતી કરે છે. આ ઉપરાંત આ ખેડૂતે વેચાણ વ્યવસ્થા પણ મોલ જેવી રાખી છે. જેમાં લોકો જાતે ખેતરમાં જઈને પોતાની જરૂરી શાકભાજી લઈ લે છે અને ખેતરના ગેટ પાસે જે-તે વસ્તુ તોલીને ત્યાં પૈસા પણ આપી દે છે.