Published By:-Bhavika Sasiya
- ગોત્રીના નવા પી.આઇ તરીકે એમ.આર. સંગાળા
વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની અગાઉ થયેલી પાર્કિંગ બાબતેની બબાલ બાદ બેરહેમી પૂર્વક માર મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઠકકર સમાજ દ્વારા સચિનના પરિવારને ન્યાય અપાવવા માટે લડત શરૂ કરવામાં આવી છે. ગોત્રી પોલીસ મથકની હદમાં આ અતિ ગંભીર બનાવ બન્યો હતો, અને તેના PI ની બદલી કરી દેવામાં આવી છે. હવે આવનાર સમયમાં આ મામલે શુ કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
વડોદરાના ગોત્રી પોલીસ મથકના PI એમ. કે. ગુર્જર અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. અગાઉ વકીલ ફરિયાદ સંબંધે કોઈ કાર્યવાહી ન કરવા બાબતે વકીલ મંડળનો મોરચો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને તેમની નીતિનો પુરજોશમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે આખરે બન્ને પક્ષે સમાધાન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ મામલો હજી શાંત થાય તે પહેલા જ રેસકોર્ષ વિસ્તારમાં આવેલી મિર્ચ મસાલા રેસ્ટોરેન્ટની ગલીમાં આવેલા મેદાનમાં કાર પાર્કિંગ અંગે અગાઉ થાયેલી બબાલના અનુસંધાને ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં પાર્થ બાબુલ પરીખ તથા તેના બે માળતીયાઓ દ્વારા ભાજપ કાર્યકર સચિન ઠકકર તથા પ્રીતેશ ઠકકર પર ખૂની હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં સચિનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.
સચિન ઠક્કરને ન્યાય અપાવવા માટે સમગ્ર સમાજ દ્વારા એક થઈને ઉચ્ચ સ્તરીય રજુઆત કરવામાં આવી હતી. મામલો છેક ગૃહ મંત્રી સુધી પહોંચ્યો હતો. જે બાદ આજે એકા એક ગોત્રી PI એમ. કે. ગુર્જર ની બદલી કરી લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ટૂંક સમયમાં નવા PI ચાર્જ સંભાળશે. સચિન ઠકકર કેસમાં આગળ શું થાય છે તેના પર સૌકોઈની નજર રહેલી છે.