- વોર્ડ નંબર-3માં આવેલી અનુરાગ સોસાયટીના સ્થાનિકો ઘરમાં જ રહેવા મજબુર
- તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું નિરાકરણ નહી કરવામાં આવતો હોવાનો આક્ષેપ
આપે જો શહેરમાં જ ગ્રામ્ય વિસ્તારની અનુભૂતિ કરવી હોય તો દૂર જવાની જરૂર નથી. ભરૂચના વોર્ડ નંબર 3 માં સ્થાનિક કોર્પોરેટર કે જે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ પણ છે તેઓએ આ વ્યવસ્થા પોતાના વોર્ડમાં જ ઊભી કરી છે. ભરૂચના વોર્ડ નંબર-3માં આવેલી અનુરાગ સોસાયટીના રહીશો 3 મહિનાથી પોતાના ઘરમાં જ પાલિકાના પાપે નજર કેદ હાલતમાં મુકાઈ ગયા છે.

આદિવાસી વિસ્તારમાં ચોમાસામાં ઝોળીમાં દર્દીઓ કે સગર્ભાને લઈ જવી પડે તેવા અવારનવાર દ્રશ્યો નર્મદા જિલ્લામાંથી બહાર આવતા રહે છે. જોકે ભરૂચ શહેરમાં વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા સોસાયટીમાંથી ઝોળીમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જવો પડે તે વિકાસની ગુલબાંગો ફૂંકતા પદાધિકારીઓ અને તંત્ર માટે શરમજનક વાત ગણાવી શકાય.આ સ્થિતિનો ત્રણ મહિનાથી ભરૂચના માતરિયા તળાવને અડીને આવેલી વોર્ડ નંબર 3 ની અનુરાગ સોસાયટીના રહીશો સામનો કરી રહ્યા છે. ગત 19 જુનથી અહીં રસ્તો બનાવવાનું કામ શરૂ કરાયું હતું. જોકે માર્ગ ખોદી તેના ઉપર મેટલ નાખી દીધા બાદ હવે પાલિકા તંત્ર કે નગરસેવકો ફરકી સુધ્ધા રહ્યા નથી.સ્થાનિક રહીશો કોલ કરે છે તો હાલ વરસાદનું બહાનું નું એક જ ગાણું પાલિકા ગાઈ રહી છે. ત્રણ મહિનાથી રસ્તાનું કામ અધુરું છોડી દેવાતા રહીશોનું સોસાયટીની ગલીમાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. વાહનો સોસાયટીના નાકે પાર્ક કરવા પડતા હોય પેટ્રોલ અને બેટરીની ચોરીઓ થઈ રહી છે.હવે સોસાયટી વાળાએ રોડ નહિ તો વોટ નહીનો સુર આલાપ્યો છે. પાલિકાને રહીશોએ પેહલા જ કહ્યું હતું કે ચોમાસા પેહલા રસ્તો બની શકે તેમ ન હોય તો બાદ માં કામ શરૂ કરજો પણ આરંભે સુરા પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો હવે એક લાઈનનો રસ્તો બનાવવામાં વામણા પુરવાર થયા છે. સ્થાનિક કોર્પોરેટર કે જેઓ કારોબારી અધ્યક્ષ જેવા મોટા પદ ઉપર બેઠા છે તેઑ પણ લોકોને સુખાકારી આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો કરી છતાં ઉડાઉ જવાબ આપવા ટેવાયેલા આ નેતા લોકોને ગોળ ગોળ ફેરવી રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે.