Published by: Rana kajal
- યાત્રાળુઓની સંખ્યા ઘટવાની સંભાવના… ભરૂચ જિલ્લામાંથી પણ યાત્રાળુઓ ઘટે તેવી શક્યતા…
અત્યારથી જ ટુર ઓપરેટરને પેકેજ રદ કરવાના ફોન વધ્યા..ભૂકંપ અને કુદરતી આફતો અંગેની આગાહી કરવામાં આવી રહી છે. જેની સીધી અસર ચારધામ યાત્રાના યાત્રાળુઓ પર પડી રહી છે. ભરૂચ જિલ્લામાંથી પણ આ વર્ષે ચારધામ યાત્રાએ જતા શ્રધ્ધાળુઓની સંખ્યામા ઘટાડો થાય તેવી સંભાવના જણાઈ રહી છે…
ભરૂચ જિલ્લા માથી દર વર્ષે 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ જાય છે, પરંતું આ વર્ષે 25% યાત્રીઓ ઘટશે એમ લાગી રહ્યું છે. તુર્કીયે-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. એવામાં હવે ભારતમાં ઉત્તરાખંડમાં પણ તુર્કીયે જેવો ભૂકંપ આવી શકે છે તેમજ અન્ય કૂદરતી આફતો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે ચારધામમાં જતા યાત્રાળુ કે પ્રવાસીઓ અવઢવમાં પડી ગયા છે. ભરૂચ જિલ્લામાંથી દર વર્ષે અંદાજે 10હજારથી વધુ લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. છેલ્લા થોડા વર્ષોથી કેદારનાથ ટ્રેકિંગનું આકર્ષણ વધતા યુવાનોની ઉત્તરાખંડ જવાની સંખ્યા વધી છે.ગઈકાલે સવારથી ચારધામ યાત્રા પર આવનારાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કે, હાલમાં ચારધામ યાત્રા હેઠળ માત્ર કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે જ નોંધણી કરવામાં આવી રહી છે. અન્ય બે ધામ, ગંગોત્રી અને યમુનોત્રીની નોંધણી હવે શરૂ કરવામાં આવશે.
ડૉ. એન. પૂર્ણચંદ્ર રાવે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, ‘ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણું ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે અને આ ઘર્ષણને દૂર કરવા માટે ભૂકંપ આવે તો કોઇ નવાઇ નહીં. આ સમાચારને પગલે ટ્રેન અને ફ્લાઇટનું બુકિંગ કરાવનાર વર્ગ હાલ ઉતરાખંડનું આયોજન કરવું કે નહીં તે વિચારમાં પડી ગયો છે.વર્ષોની પરંપરા મુજબ અક્ષય તૃતીયાએ યાત્રા શરૂ થાય છે. બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. બદ્રીનાથના કપાટ તા. 27 એપ્રિલે અને કેદારનાથ ધામના કપાટ તા 25 એપ્રિલે ખુલશે, જ્યારે પરંપરા મુજબ અક્ષય તૃતીયાના દિવસ તા. 22 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે. જો કે, દરવાજા ખોલવાનો સમય અને તારીખ મંદિર સમિતિઓ દ્વારા જાહેર કરાશે…..