Published by : Rana Kajal
- સાત દિવસ પછી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા અને જંબુસરની એક વિદ્યાલયના આચાર્યે ધો.12 ના વિધાર્થીઓ પાસે માંગ્યા 200 રૂપિયા
- જંબુસરની નવયુગ વિદ્યાલયમાં વિધાર્થીઓ મંગળવારે પરીક્ષા રસીદ લેવા જતા આચાર્યે શાળા વિકાસ ફંડ હેઠળ પૈસા માંગ્યા હોવાનો આક્ષેપ
- છાત્રો સ્કૂલ બહાર જ ધરણાં ઉપર બેસી જતા અંતે જેના 200 રૂપિયા લીધા હતા તે પાછા આપી તમામને રસીદ અપાઈ
રૂપિયા 200 આપો તો પરીક્ષાની રસીદ મળશે જંબુસરની નવયુગ વિદ્યાલયના ધોરણ 12 ના વિધાર્થીઓએ આચાર્યે આ કેફિયત વ્યક્ત કરી હોવાના આક્ષેપ કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જોકે ચેનલ નર્મદાએ પોતાની જવાબદારી નિભાવી વિધાર્થી પાસેથી લેવાતા 200 રૂપિયા અટકાવ્યા હતા.ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષાઓને હવે એક સપ્તાહનો પણ સમય રહ્યો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થઈ રહી છે. આવા સમયે શિક્ષણ જગતને હચમચાવી દે તેવી ઘટના જંબુસરમાંથી બહાર આવી છે.

આજે મંગળવારે જંબુસર નવયુગ વિધાલય ખાતે ધોરણ 12 ના વિધાર્થીઓ પોતાની પરીક્ષા રસીદ લેવા ગયા હતા. જોકે વિધાર્થીઓના કહ્યા પ્રમાણે આચાર્ય એ રસીદ આપવાની ના પાડી દીધી હતી. વિધાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, આચાર્ય એ તેમની પાસે ₹200 માંગ્યા હતા.જેને લઈ કેટલાક વિધાર્થીઓએ ભાવિનો સવાલ હોય 200 રૂપિયા ચુપચાપ આપી રસીદ મેળવી લીધી હતી. જ્યારે કેટલાય વિધાર્થીઓએ પરીક્ષા રસીદના 200 રૂપિયા શેના તેવા સવાલો ઉઠાવ્યા હતા.વિધાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે , શાળા વિકાસ ફંડ હેઠળ છાત્રો પાસેથી આ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જોકે શાળા ટ્રસ્ટએ વિકાસ ફાળા માટે કોઈ રકમ માંગી નહિ હોવાનું વિધાર્થીઓને કહ્યું હતું.

પૈસા શેના પરીક્ષા રસીદ આપો સાથે વિધાર્થીઓ શાળા બહાર જ ધરણાં ઉપર બેસી ગયા હતા. વિવાદ અંગેની જાણ સ્થાનિક મીડિયાને થતા ભારે હોબાળો મચી જતા અંતે વિના પૈસા લીધે જ પરીક્ષા લેટર અપાયા હતા. અને જે વિધાર્થીઓના 200 રૂપિયા લેવાયા હતા તેને પરત કરાયા હતા. જિલ્લા શિક્ષણમાં ગંભીર કહી શકાય તેવી આ ઘટના અંગે આચાર્ય કે શાળાના ટ્રસ્ટીઓએ કોઈ સ્પષ્ટતા કે ફોડ પાડ્યો ન હતો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાતાં તેમનો ફોન કવરેજની બહાર આવ્યો હતો.