- મુકેશ અંબાણીએ ગત શુક્રવારે તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા
- તિરુપતિ બાલાજીનું ભારતનું સૌથી ધનવાન મંદિર…
આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં ચેન્નાઈના એક મુસ્લિમ દંપતીએ 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આંધ્ર પ્રદેશના ચિત્તુરમાં આવેલ તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી વધુ લોકપ્રિય મંદિર છે. તિરુપતિ બાલાજીનું મંદિરને ભારતનું સૌથી ધનવાન મંદિર ગણવામાં આવે છે. મંદિરમાં રોજનું કરોડોનું દાન આવે છે. અહી લોકો પોતાના દુષ્કૃત્યો અને પાપોના ભાગરૂપે તેમના વાળ છોડી દે છે. જે વ્યક્તિ પોતાના મનમાંથી તમામ પાપો અને દુષણોને છોડી દે છે, દેવી લક્ષ્મી તેના તમામ દુ:ખોનો અંત લાવે છે એમ માનવામાં આવે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મુસ્લિમ પરિવાર પ્રથમ વખત મળ્યો હતો. ત્યારબાદ તેઓને ૧.૦૨ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. ટીટીડીના અધિકારીઓએ અબ્દુલ ગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસના ફર્નિચર અને વાસણો માટે છે. જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો સમાવેશ થાય છે. મંદિરમાં આવતા હજારો ભક્તોને તે મફત ભોજન પૂરું પાડે છે.
અબ્દુલ ગની એક બિઝનેસમેન છે. અબ્દુલ ગનીએ કોરોના કાળ વર્ષ 2020માં પણ બાલાજી મંદિર પરિસરમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું દાન કર્યું હતું. અગાઉ દંપત્તીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગત શુક્રવારે તિરુમાલા મંદિરમાં 1.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. અહેવાલ મુજબ અંબાણીએ મંદિરમાં પૂજા-અર્ચના કરવા મંદિરમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો હતો. ગત સોમવારે લગભગ 67,276 ભક્તોએ તિરુમાલા મંદિરમાં વેંકટેશ્વરની પૂજા કરી. આ દરમિયાન મંદિરમાં લગભગ 5.71 કરોડ રૂપિયાનું દાન થયું હતું.