Published By : Parul Patel
- સરકારી દવાખાનમાં જ રોજના આંખ આવવાના આવી રહ્યાં છે 300 થી વધુ દર્દીઓ
- જિલ્લા આરોગ્ય વિભાગે શાળાઓમાં બાળકો માટે હેલ્થ ગાઈડલાઇન કરી જારી
- બાળકને આંખ આવે તો શાળાએ નહિ મોકલવા સૂચન
- ખાનગી દવાખાનમાં પણ આંખ આવવાના રોજના 300 થી વધુ દર્દીઓ નોંધાઇ રહયા છે…
ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગો દેકારો મચાવે છે ત્યાં આંખના ચેપી રોગ કન્જેક્ટિવાઇટિસ ‘અંખિયા મિલા કે’ એ લોકોને કાળા ચશ્માં પહેરવા મજબુર કરી દીધા છે.
ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પણ આંખ આવવાનો ચેપી રોગ કન્જેક્ટિવાઇટિસ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી લાલ આંખ કરવા સાથે સતત આસું પડાવી પરેશાન કરી રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં પણ આંખના ચેપી રોગે મોટેરા સહિત બાળકોમાં ભરડો લીધો છે. ‘અંખિયા મિલા કે’ કોરોનાની જેમ ઝડપથી આંખના રોગનો એડીનો વાયરસ ફેલાઈ રહ્યો છે. બાળકોમાં મોટા પ્રમાણમાં આ રોગ જોવા મળતા ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોને રજા આપી દેવાઈ રહી છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં આંખનો એડીનો વાયરસ નામનો રોગ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને લોકો ‘અંખિયા મિલા કે’ રોગ થી પણ ઓળખે છે. આ આંખના ચેપી રોગે બાળકોમાં પણ ભરડો લીધો છે. જેથી સાવચેતીના પગલાં રૂપે જે બાળકો આ વાયરસની લપેટમાં આવી ગયા હોય અથવા તો તેની અસર હોય તેઓને રજા પણ આપી દે છે.
કોરોના જે ઝડપથી ફેલાતો હતો તે જ ઝડપથી આ એડીનો વાયરસ ફેલાઈ રહ્યો છે. સામાન્યતઃ ચોમાસાની ઋતુમાં ઉદભવી ફેલાતા આંખના ચેપી રોગ શહેર અને જિલ્લામાં પણ ભરડો લીધો છે.
આ એડીનો વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે તેવા તેના ગુણધર્મ છે. જે વ્યક્તિને આ આંખનો રોગ થયો હોય તેના સંપર્કમાં સીધી રીતે કે તેને અડકેલી ચીજ વસ્તુઓથી બીજા વ્યક્તિ આવે તો તેને પણ આ એડીનો વાયરસ લપેટમાં લઈ લે છે. જેને કારણે શાળા કોલેજોમાં આંખનો રોગ બાળકોને મોટા પ્રમાણમાં જોવા મળે છે.
શાળાઓમાં બાળકોને મોટા સમૂહમાં એડીનો વાયરસ ફેલાયેલો હોવાને કારણે તેવા બાળકોને શાળામાંથી રજા પણ આપી દેવામાં આવે છે, અને જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી શાળાએ નહીં આવવા પણ સુચના આપવામાં આવે છે.
હાલમાં ઘરે ઘરે ખાટલાની જેમ આંખનો એડીનો વાયરસનો રોગ ફેલાયેલો છે. આંખના ડોક્ટરોને ત્યાં ઓપીડીમાં પણ 50% થી વધુ આંખ આવવાના રોગના જ દર્દીઓની લાઈનો લાગે છે.
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાના સિનિયર ઓ ઓપટોમેટ્રિસ ડો. સંદીપ શાહે જણાવ્યું હતું કે, મંગળવારે જ જિલ્લાના સરકારી દવાખાનામાં આંખ આવવાના 333 કેસ નોંધાયા હતા. જેમાં 199 મેઈલ અને 142 ફિમેલ દર્દીઓ હતા. રોજ 300 થી વધુ લોકોને આંખ આવી રહી છે. જ્યારે ખાનગી દવાખાનમાં આવતા રોજના દર્દીઓનો આંક પણ 300 થી વધુ છે.
આંખનો એડીનો વાયરસ ચોમાસાના વરસાદી વાતાવરણમાં વધુ થાય છે. આ વાયરસ થયેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિને આંખ કે નાકમાંથી પ્રવેશ કરે છે. સામાન્ય રીતે એડીનો વાયરસ પાંચ થી સાત દિવસમાં રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે. દર્દીએ અને તેના સંપર્કમાં રહેતા લોકોએ વધુ વાયરસ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.
બોક્સ : તકેદારી જાળવવા શું ન કરવું:
- આંખને હાથ લગાવવો નહીં.
- રૂમાલ કે કપડાથી આંખ લુછવી કે ખંજવાળવી નહીં.
- એકબીજા સાથે હાથ મિલાવવું ટાળવું.
- અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાના રૂમાલ, નેપકીન, ચાદર, તકીયો વગેરે અલગ રાખવા.
- કોમ્પ્યુટર કીબોર્ડ, મોબાઈલ, ચાવી, પેન વગેરે પણ અન્યને વાપરવા આપવા નહીં.
- શાળા તથા જાહેર સ્થળે જવું નહીં.
- સ્ટેરોઇડ વાળા ટીપા આંખના ડોક્ટરને પૂછ્યા વિના કોઈપણ સંજોગોમાં વાપરવા નહીં.
બોકસ : આંખ આવે તો શું કરવું:
- આંસુ ટીશ્યુ પેપરથી લુછી સીધું ડસ્ટબીનમાં ફેકવું.
- ખંજવાળ વધારે આવે તો સુકો ઠંડો સેક કરવો.
- પોકેટ સેનિટાઈઝર રાખી વારંવાર હાથ સાફ કરવા.
- વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું.
- વારંવાર સાબુથી હાથ ધોવા.
- ડોક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક આઇ ડ્રોપ અથવા ઓઇન્ટમેન્ટ લગાવી શકાય.