- કૃષ્ણ જન્માષ્ટમીનાં 15 દિવસ બાદ મનાવવામાં આવે છે રાધાષ્ટમી
- આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે
- આ દિવસે રાધારાણીની પૂજા કરવાથી મળે છે સુખ – શાંતિ
રાધાષ્ટમી એ એક હિન્દુ તહેવાર છે જે રાધા રાણીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર તે લક્ષ્મી દેવીનો અવતાર છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં રાધા અષ્ટમી સંપૂર્ણ ઉત્સાહ અને સમર્પણ સાથે મનાવવામાં આવે છે.
ભાદ્રપદ્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથીનાં રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં રાધા અને કૃષ્ણનું નામ એકસાથે લેવાની પરંપરા છે. કારણકે માનવામાં આવે છે કે, રાધા વગર શ્યામ અધૂરા છે. કદાચ આ જ કારણ સાથે જોડાયેલો એક પૌરાણિક સંયોગ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શ્રાવણ વદ આઠમને આખી દુનિયા જન્માષ્ટમી ઉજવે છે, ત્યાં બીજી બાજુ વ્રજમંડળમાં ભાદરવા સુદ આઠમના દિવસે મનાવવામાં આવે છે. વ્રજધામમાં ખાસ કરીને બરસાનામાં આ દિવસે ધૂમ મચેલી હોય છે. માન્યતા અનુસાર રાધાજીની પૂજા વગર જન્માષ્ટમીની પૂજા અધૂરી છે. આ વર્ષે રાધાષ્ટમી 4 સપ્ટેમ્બરનાં રોજ છે.

રાધાષ્ટમીની 2022 મુહૂર્ત
હિન્દુ પંચાંગમા દરેક તિથી અને વ્રતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે રાધા અષ્ટમી 2022 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે અષ્ટમી તિથીનો આરંભ 3 સપ્ટેમ્બર, શનિવારે બપોરે 12:25 પર થશે અને સમાપન રવિવારે સવારે 10:40 પર થશે. ઉદયાતીથી અનુસાર, રાધા અષ્ટમી પર્વ 4 સપ્ટેમ્બરનાં રોજ મનાવવામાં આવશે.
રાધાષ્ટમીની પૂજન વિધિ
રાધાષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાની સંયુક્ત રૂપે પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યારબાદ એક આસન પર વસ્ત્ર પાથરીને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. મૂર્તિને પંચામૃત સ્નાન કરાવીને ધૂપ, દીપ, ફળ, ફૂલ, નૈવેદ્ય વગેરે અર્પિત કરવામાં આવે છે. રાધા-કૃષ્ણની સ્તુતિ કરવામાં આવે છે. શ્રીરાધા કૃપાકટાક્ષ સ્તોત્રનો પાઠ કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે. વ્રતનાં પારણ આગલા દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કે બ્રાહ્મણોના ભોજન અને દાન સાથે કરવામાં આવે છે.

રાધાષ્ટમી મહત્વ
એવું માનવામાં આવે છે કે રાધાષ્ટમી વ્રત વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે, મન નકારાત્મક વિચારોથી મુક્ત થાય છે, અને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે.