Published by : Anu Shukla
- 603 ઈમારતોમાં તિરાડો, 70 પરિવારોનું સ્થળાંતર;
- તંત્રએ લોકોને રાહત શિબિરમાં જવાની અપીલ કરી,
- આજે એક્સપર્ટની ટીમ મુલાકાત લેશે
સોમવારે સરકાર દ્વારા ઉત્તરાખંડના જોશીમઠને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ રવિવારે જોશીમઠને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કેન્દ્રએ તરત જ લોકોને શિફ્ટ કરવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
અહીં 603 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. મોટાભાગના લોકો ભયના કારણે ઘરની બહાર જ રહી રહ્યા છે. ભાડૂઆતો પણ ભૂસ્ખલનના ભયથી ઘર છોડીને ચાલ્યા ગયા છે. અત્યાર સુધી 70 પરિવારોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બાકીનાને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્રે લોકોને રાહત શિબિરમાં જવાની અપીલ કરી છે.

મોટા અપડેટ્સ…
• સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અરજીને લિસ્ટિંગ કરવા કહ્યું છે.
• કેન્દ્ર સરકારની બે નિષ્ણાત ટીમ આજે જોશીમઠની મુલાકાત લેશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. તેમાં જળ શક્તિ મંત્રાલયની ટીમ સામેલ છે.
• ચમોલીના ડીએમ હિમાંશુ ખુરાનાએ જોશીમઠ વિસ્તારને ડિઝાસ્ટર વિસ્તાર જાહેર કર્યો છે.
• NTPC પાવર પ્રોજેક્ટ અને ચાર ધામ ઓલ વેધર રોડનું કામ અટકાવવાના આદેશ આપવામાં આવ્યા હતા.
• જોશીમઠના અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને 5 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે.

જોશીમઠની પરિસ્થિતિ અંગે સરકાર અને નિષ્ણાતો…
PM મોદીએ CMને પૂછ્યું – કેટલા લોકો અસરગ્રસ્ત છે
વડાપ્રધાન મોદીએ રવિવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને ફોન કરીને આ અંગે પૂછપરછ કરી હતી. ધામીએ જણાવ્યું કે પીએમએ અનેક સવાલો પૂછ્યા, જેમ કે કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે, કેટલું નુકસાન થયું છે, લોકોના વિસ્થાપન માટે શું કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાને જોશીમઠને બચાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
નિષ્ણાતે કહ્યું- ભૂસ્ખલનનું મોટું જોખમ
પીએમઓ સાથેની બેઠક દરમિયાન નિષ્ણાતે જોશીમઠમાં મોટા જોખમની આશંકા વ્યક્ત કરી હતી. નિષ્ણાતો કહે છે કે શહેરની નીચે બ્લાસ્ટિંગ અને ટનલ બનાવવાના કારણે પહાડો ધસી રહ્યા છે. જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે તો શહેર કાટમાળમાં ફેરવાઈ શકે છે. સુખવીર સિંહ સંધુએ કહ્યું કે અમારો પ્રયાસ છે કે કોઈ પણ જાતની નુકશાની ન થાય તે માટે લોકોને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભૂસ્ખલનને કેવી રીતે રોકી શકાય. જલ્દી ઉકેલ શોધવામાં આવશે. આ માટે જરૂરી પગલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે, જો કે હાલની સ્થિતિને જોતા લોકોને જોખમી ક્ષેત્રમાંથી બહાર નીકાળવા વધુ જરૂરી છે.
મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, શંકરાચાર્યે PIL દાખલ કરી
જ્યોતિષપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે. તેમણે કહ્યું- છેલ્લા એક વર્ષથી જમીન ધસવાના સંકેતો મળી રહ્યા હતા. સરકારે આ તરફ ધ્યાન આપ્યું નથી. ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક શહેર જોશીમઠ જોખમમાં છે.
NTPCનું નિવેદન – અમારી ટનલ જોશીમઠમાંથી બિલકુલ પસાર થતી નથી
NTPCએ એક નિવેદનમાં કહ્યું- “NTPC દ્વારા બનાવવામાં આવેલી ટનલ જોશીમઠ નગરની નીચેથી પસાર થતી નથી. આ ટનલ એક ટનલ બોરિંગ મશીન (TBM) દ્વારા ખોદવામાં આવી હતી. અને હાલમાં કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું નથી.”
છત પડી જાય ત્યારે આવજો… SDMએ કહ્યું- આવું કશું કહ્યું નથી
જોશીમઠના મનોહર વોર્ડના લોકોએ SDM કુમકુમ જોશીના નિવેદન મામલે હોબાળો થયો હતો. લોકો કુમકુમ પર ગુસ્સે થયા હતા. લોકોએ એસડીએમને તેમના નિવેદનમાં યાદ અપાવ્યું કે તેણે કહ્યું હતું કે જ્યારે છત પડી જાય ત્યારે આવજો અને 5 હજાર રૂપિયા મળી જશે. જો કે, એસડીએમએ આવા કોઈપણ નિવેદનને નકારી કાઢ્યું છે. તેણે કહ્યું- એવું કશું પણ મેં કહ્યું જ નથી.