Published by : Rana Kajal
- પતિ વહેમ રાખી પરિણીતાને મારઝુડ કરતો હતો
- 6 મહિનાથી પિયર દાહોદ રહેલી પરિણીતા સમાધાન થતા 25 દિવસ પેહલા જ ભરૂચ આવી
ઝાડેશ્વર નર્મદા કોલેજ પાછળ રહેતી પરિણીતાના મોતમાં પિતાએ જમાઈ સામે જ ગળું દબાવી હત્યા કરી હોવાની શંકા સેવી છે.
મૂળ દાહોદના ગરબાડાના બાપુભાઈ મુનિયાની 26 વર્ષીય દીકરી અનિતાબેનના લગ્ન વર્ષ 2021 માં સમાજના રીતરિવાજ મુજબ માનસિંગ કલસંગ બારીયા સાથે થયા હતા.
લગ્નના એક વર્ષ બાદ જ પતિ પરિણીતા ઉપર ખોટા વહેમ રાખી અવારનવાર મારઝૂડ કરતો હતો. ગત ચોમાસામાં જ માનસંગે અનિતાબેન સાથે ઝઘડો કરી માર મારતા સાસુ સવિતાબેન પરિણીતાને પિયર મૂકી આવ્યા હતા.
બન્ને પક્ષે સમાધાન થતા 6 મહિનાથી પિયર રહેલા અનિતાબેન ભરૂચ સાસરીમાં 25 દિવસ પેહલા જ આવ્યા હતા. જોકે પતિએ 10 દિવસ પેહલા જ ફરી ખોટા વહેમમાં પત્નીને માર માર્યો હતો. દરમિયાન ગત રોજ પિતાને તેમની દીકરીનું મોત થયું હોવાનો ફોન આવતા તેઓ અન્ય પરિવાર સાથે ભરૂચ દોડી આવ્યા હતા.
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દીકરીના સાસરિયાને પૂછતાં તેઓએ બનાવ અંગે કઈ કહ્યું ન હતુ. જોકે પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ગળું દબાવવાથી શ્વાસ રૂંધાતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.
પિતા બાપુભાઈએ પુત્રી અનિતાના મૃત્યુમાં જમાઈ માનસંગે જ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરવા સાથે સી ડિવિઝન પોલીસ મથકે જમાઈ વિરુદ્ધ શકદાર તરીકે ફરિયાદ આપી છે.