Published By : Patel Shital
- મુસાફરોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને રેલ્વેએ 5 નિયમો જાહેર કર્યાં…
રેલ્વે ટ્રેનમાં ઘણીવાર મુસાફરી આરામદાયક નહી પરંતું ત્રાસદાયક સાબિત થતી હોય છે. ત્યારે મુસાફરોની ફરિયાદને ધ્યાનમાં લઈ રેલ્વેતંત્રએ નવા નિયમો બનાવ્યા છે જેનુ કડક પાલન કરવામાં આવશે. ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે અને તેઓ ઈચ્છે છે કે તેમની મુસાફરી આરામદાયક હોય ત્રાસદાયક ન હોય પરંતુ ટ્રેનમાં અવારનવાર ખોટા સમયે ટિકિટ ચેકર દ્વારા ટિકિટ ચેકીંગ, અને સીટ બાબતે મુસાફરોની અવરજવરથી અન્ય મુસાફરો પરેશાન થાય છે. મુસાફરોને થતી અગવડોને ધ્યાનમાં રાખીને રેલ્વે મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમજ નવા નિયમો બનાવ્યા છે.
ઈન્ડિયન રેલ્વેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો મુજબ કોઈપણ વ્યક્તિ મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. કોઈપણ મુસાફર મોડી રાત સુધી પોતાના મોબાઈલ પર મ્યુઝિક વગાડી શકશે નહીં અને મોડી રાત સુધી લાઈટો ચાલુ રાખી શકશે નહીં. 10 વાગ્યા પછી પણ વ્યક્તિ તેના મોબાઈલ પર મોટા અવાજથી વાત કરી શકશે નહીં. મોટા અવાજની ફરિયાદ ઉપરાંત રાત્રે લાઇટ ચાલુ રહેતી હોવાની પણ લોકો ફરિયાદ કરે છે. નવા નિયમ મુજબ રાત્રીના સમયે મુસાફરી કરતી વખતે નાઈટ લાઈટ સિવાયની તમામ લાઈટો બંધ કરવી પડશે. મુસાફરો તરફથી એવી ફરિયાદો પણ ઉઠી છે કે ટ્રેનમાં કામ કરતા સપોર્ટ સ્ટાફ પણ રાતભર ફોન પર મોટેથી વાત કરે છે, જેના કારણે મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેથી જ ચેકીંગ સ્ટાફ, RPF, ઇલેક્ટ્રીશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઈન્ટેનન્સ સ્ટાફ રાત્રે શાંતિથી કામ કરશે. રેલ્વેએ આગની ઘટનાઓ સામે સાવચેતી તરીકે મુસાફરોને રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે ટ્રેનોમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાથી રોકવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત, ટ્રેનના કોચમાં દારૂ પીવા, ધૂમ્રપાન કરવા અથવા કોઈપણ જ્વલનશીલ વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી અને તે ભારતીય રેલ્વેના નિયમોની વિરુદ્ધ છે.