Published by : Anu Shukla
૨૭ જાન્યુઆરીએ પીએમ મોદી ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતગર્ત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરવાના છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓના આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ થાય તેવી વ્યવસ્થા કરવા માટે ડીઈઓ કચેરી દ્વારા આદેશ અપાયો છે.
વડોદરા શહેર જિલ્લાની ૫૦૦ જેટલી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલો તથા આ સિવાય પ્રાથમિક સ્કૂલોને ડીઈઓ કચેરી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જુએ તેવી વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. એટલુ જ નહીં સ્કૂલોએ આ પ્રકારની વ્યવસ્થા કરી કે નહીં તેના પૂરાવા તરીકે ફોટોગ્રાફ અને વિડિયો પણ સ્કૂલોએ માય ગર્વમેન્ટ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
ડીઈઓ કચેરીએ સ્કૂલોને સ્પષ્ટપણે તાકીદ કરી છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ જુએ તે નિશ્ચિત કરવાનુ રહેશે.જે સ્કૂલો પાસે ટીવી નથી કે ઈલેક્ટ્રિસિટી ઉપલબ્ધ નથી તે સ્કૂલોએ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીને પણ કાર્યક્રમનુ પ્રસારણ કરવાનુ રહેશે.જો ગ્રામ્ય વિસ્તારમાં ટીવી પ્રસારણ થઈ શકે તેમ ના હોય તો રેડિયો થકી પણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સાંભળી શકે તેવુ આયોજન સ્કૂલ સંચાલકોએ કરવાનુ રહેશે.
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના કારણે ૨૭ જાન્યુઆરીથી સ્કૂલોમાં શરુ થનારી પરીક્ષાને પણ પાછી ઠેલવામાં આવી છે અને હવે ધો.૯ થી ૧૨ માટેની આ પરીક્ષા ૨૮ જાન્યુઆરીથી શરુ થશે.