Published By : Parul Patel
તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલીસમાં એક મંદિરને નર્કનો દરવાજો કહેવાય છે.
આ મંદિર અંગે કહેવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જાય છે તો તેમના મૃતદેહની પણ કોઈ ભાળ મળતી નથી. મંદિરમાં પ્રવેશતાં જ થઈ જાય મૃત્યુ નોંધનીય છે કે, આ મંદિરને નર્કનો દરવાજો એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં માનવીઓના રહસ્યમય રીતે મૃત્યુ થઈ રહ્યા છે. સાથેજ સૌથી મોટી રહસ્યમય વાત એ છે કે જો કોઈ પ્રાણી મંદિરના સંપર્કમાં આવે છે, તો પ્રાણીનું પણ મૃત્યુ થઈ જાય છે. આ મંદિર વિશે લોકોનું માનવું છે કે, ગ્રીક દેવતાના ઝેરીલા શ્વાસને કારણે તમામ મનુષ્યના મૃત્યુ થાય છે. ગ્રીક-રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ આ મંદિરની પાસે જશે તો તેમનું માથું કાપી નાખવામાં આવશે.
કહેવાય છે કે, આ મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્યથી લઈને પશુ-પક્ષીઓના મૃત્યુ થાય છે. અહીં સતત થઈ રહેલા મૃત્યુના કારણે લોકો આ મંદિરના દરવાજાને ‘નર્કનો દરવાજો’ કહે છે. ગ્રીક રોમન કાળમાં પણ લોકો મૃત્યુના ડરથી અહીં જવાથી ડરતા હતા.
જોકે, લોકોના રહસ્યમય મૃત્યુનો ભેદ વૈજ્ઞાનિકોએ ઉકેલી લીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર નીકળી રહ્યો છે, જેના સંપર્કમાં આવતા જ માનવ અને પશુ-પક્ષીઓના મૃત્યુ થઇ જાય છે. મંદિરની નીચે બનેલી ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે. સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ જ માત્ર 30 મિનિટમાં કોઈ વ્યક્તિનો જીવ લઇ શકે છે, ત્યાં ગુફાની અંદર આ ઝેરી ગેસનું પ્રમાણ 91 ટકા છે. અહીં સંપર્કમાં આવતા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓના તાત્કાલિક જ મૃત્યુ થઈ જાય છે.