Published by : Anu Shukla
કેન્દ્રની નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આવનારાં દિવસોમાં ફેરફાર થઈ શકે છે. તેવા સંકેત મળતાં દિલ્હીમા રાજકીય ગરમાવો અને ગતિવિધી તેજ થઈ ગઈ છે..
આવનાર ઉત્તરાયણ બાદ મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ થાય તેવી રાજકીય વર્તુળોમાં અટકળ ચાલી રહી છે. આગામી વર્ષે દેશનાં કેટલાંક રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખતા મોદી સરકાર કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. આગામી વર્ષે કેટલાંક રાજ્યોમાં ચૂંટણીના વ્યસ્ત શેડ્યૂલ અને અન્ય કેટલીક કામગીરી વચ્ચે માત્ર ઉત્તરાયણથી લઇને પહેલા બજેટ સત્રના સમય સુધી જ કેબિનેટમાં ફેરબદલને લઇને વધુ સમય મળશે. તદુપરાંત આ ફેરબદલની અસર જોવા મળશે પણ સમય લાગશે.
જૉકે કેબિનેટમાં ફેરબદલ માત્ર મંત્રીઓના પરફોર્મન્સ પર આધારિત નહીં હોય પરંતુ વધુ લાયકાત ધરાવતા સાંસદને પણ તક પૂરી પાડવામાં આવશે. અત્યારની મોદી કેબિનેટમાં માત્ર ગત વર્ષે 8 જુલાઇના રોજ ફેરબદલ કરવામાં આવી હતી જેમાં 12 મંત્રીઓને બદલવામાં આવ્યા હતા. કેબિનેટમાં લોકસભાના પ્રતિનિધિત્વને વધારાય તેમજ નીચલા ગૃહના સભ્યોને મુખ્ય જવાબદારી સોંપાય તેવી ચર્ચા છે. તદુપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના અસાધારણ પ્રદર્શન બાદ ગુજરાતના કેટલાક સાંસદોને પણ સ્થાન અપાય તેવી શક્યતા છે.
એક તરફ જ્યારે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ એક જ રાજ્યમાંથી છે ત્યારે પક્ષની સફળતામાં અસાધારણ યોગદાન આપનાર સાંસદોને કેબિનેટમાં સામેલ કરાય તે અંગે કોઇ શંકા ન હોવી જોઇએ તેવું પક્ષનું માનવું છે. આ વખતે કેબિનેટ વિસ્તરણમાં રસપ્રદ વાત એ છે કે કદાચ મહિલાઓની ભાગીદારી અને ખાસ કરીને અનામત શ્રેણીની મહિલાઓને સ્થાન અપાય તેવી વધુ શક્યતા છે. પક્ષની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન કેટલાક નામ પર ચર્ચા કરવામાં આવી હતી.