Published by : Anu Shukla
મહારાષ્ટ્રમાં શરૂ થયેલી બંને વંદે ભારત ટ્રેન સહ્યાદ્રિ પર્વતમાળાના સૌથી વધારે ઊંચા ઢોળાવ અને કઠિન ઘાટ પર એકસ્ટ્રા એન્જિન (લોકોમોટિવ) વગર ચાલી રહી છે. સ્વદેશી મિકેનિઝમની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
દેશના સૌથી કઠિન ઢોળાવ છે થાલ ઘાટ અને ભોર ઘાટ
મહારાષ્ટ્રની સહ્યાદ્રિ પર્વતમાળામાં અનેક ઢોળાવ છે. આ ઢોળાવ અત્યંત કઠિન છે અને અહીંથી ટ્રેન પસાર થાય છે. હવે આ જ પાટા પરથી વંદે ભારત ટ્રેન પણ દોડી રહી છે. આ બંને ઘાટની કુદરતી રચના એવી છે કે દર 37 મીટરે 1 મીટર ઊંચાઈ વધતી જાય. એટલે 37 મીટર ટ્રેન ચાલે ત્યાં ત્રણ ફૂટ ઊંચાઈ વધી ગઈ હોય.
મુંબઈથી સોલાપુર વચ્ચે ભોર ઘાટ આવે. આ ઘાટ 25 કિલોમીટરનો છે. 25 કિલોમીટર ટ્રેન ચાલે એટલે 2028 ફૂટની ઊંચાઈ વધી ગઈ હોય. એવી રીતે મુંબઈ-શિરડી વચ્ચે થાલ ઘાટ છે. એ 14 કિલોમીટરનો ઊંચાઈવાળો એરિયા છે. થાલ ઘાટને કસારા ઘાટ પણ કહે છે, કારણ કે એ કસારા અને ઇગતપુરી વચ્ચે આવેલો છે. અહીં ટ્રેન માંડ 14 કિલોમીટરનું અંતર કાપે ત્યાં પહાડીની ઢોળાવની ઊંચાઈ ઢાળ 1558 ફૂટ જેટલી થઈ ગઈ હોય.

વંદે ભારત લોકોમોટિવ વગર ચાલે છે
સામાન્ય રીતે મુંબઈથી સોલાપુર કે શિરડી જનારી પેસેન્જર કે ગુડ્સ ટ્રેનમાં બેકસાઈડ બીજું એન્જિન ફિટ કરવામાં આવે છે. જ્યારે આ ઘાટ નજીક આવવાનો હોય ત્યારે પાછળનું એન્જિન ટ્રેનને ધક્કો મારે છે અને આગળનું એન્જિન ખેંચે છે. આ રીતે ધીમે-ધીમે આખો ઘાટ પસાર થાય છે, પણ વંદે ભારત ટ્રેનમાં લોકોમોટિવ એટલે વધારાનું કોઈ એન્જિન ફિટ નથી. ઘાટના ચઢાવ મુજબ ખાસ ડિઝાઈનથી આ ટ્રેન બનાવવામાં આવી છે. ટ્રેનના કોચ પણ ઘાટમાં ચઢાણ અનુસાર બનાવાયા છે. ચેન્નઈની ફેક્ટરીમાં મહારાષ્ટ્રની બંને ટ્રેન ખાસ ડિઝાઈન સાથે બનાવાઈ છે.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને કહ્યું હતું કે આ ઘાટ પરથી પસાર થતી વંદે ભારત ટ્રેનના દરેક કોચમાં પાર્કિંગ બ્રેક ફિટ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ઇલેક્ટ્રિસિટીના આધારે ચાલે છે. હવે સામાન્ય રીતે એવું થાય કે કોઈ કારણોસર ઈલેક્ટ્રિસિટી બંધ થઈ જાય તો ટ્રેન ઢોળાવ પર પાછળ તરફ જવા માંડે છે અને ટ્રેન પર કાબૂ રહેતો નથી, પણ આમાં પાવર કટ થઈ જાય તોપણ પાર્કિંગ બ્રેકના કારણે ટ્રેન ચઢાણમાં ઊભી રહી શકશે.