Published by : Vanshika Gor
રાજ્યની જુદી જુદી શાળાઓ દ્વારા પરિણામ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે નાપાસ વિદ્યાર્થી માટેનો નિયમ બદલાયો છે. 12 વર્ષ બાદ આ વર્ષથી ફરી એકવાર બાળકની માર્કશીટમાં નાપાસ શબ્દનો ઉલ્લેખ થઈ શકશે. ધોરણ 5 અને 8 ના વર્ગના બાળકો કે જેમનું પરિણામ 35 ટકા કરતા ઓછું હશે, તેમને નાપાસ જાહેર કરી શકાશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8 ના બાળકોને નાપાસ કરવા અંગે લેવાયેલા નિર્ણયની અમલવારી શરૂ થશે. જે પણ બાળક નાપાસ થશે તેને ફરી બે મહિના અભ્યાસ કરાવી પરીક્ષા લેવાની રહેશે, પાસ થાય તો આગળના વર્ગમાં અભ્યાસ કરાવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, તમામ શાળાઓએ 30 એપ્રિલ સુધીમાં પરિણામ તૈયાર કરવાના છે અને 1 મેથી તમામ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. રાજ્યભરમાં 5 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. હાલ પેપર ચકાસણીનો સમય ચાલી રહ્યો છે. આવામાં ગુજરાતની શિક્ષણ નીતિમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી નાપાસ કરવાનો નિયમમાં ફેરફારો કરાયા હતા. ત્યારે હવે 12 વર્ષ બાદ આ નિયમ બદલાયો છે.
થોડા વર્ષો પહેલા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને ધોરણ 8 માં નાપાસ કરવાની પોલીસ અમલમાં મૂકાઈ હતી. ધોરણ 5 અને 8 માં નબળા બાળકોને નાપાસ કરવાનો નિયમ લાગુ કરાયો હતો. જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, નાપાસ થનાર બાળકોને બે મહિના શિક્ષણ આપવું અને બાદમાં તેની ફરીથી પરીક્ષા લેવી. બાળક પાસ થાય તો તેને આગળના વર્ગમાં લઈ જવું. જોકે, શિક્ષણ વિભાગના આ નિયમને કારણે શિક્ષકો અટવાયા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીને ફરીથી 2 મહિના ભણાવીને પાસ કરવાને કારણે ગેરસમજ થઈ હતી.