Published By : Disha PJB
- નડીયાદની વિધિ જાદવે સુલીપુર ગામના શહીદ જવાનના પરિવારને મળી રૂ.૧૧ હજારની આર્થિક મદદ કરી.
- વિધિ જાદવે અત્યાર સુધી ૧૫૪ થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. દેશની રક્ષા કરતા સૈનિકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સહિયારી છે.
દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા તેમના પરિવારને મદદરૂપ થવું, એ સૌની નૈતિક ફરજ છે અને તે ફરજને નડીયાદની એક યુવતી સારી રીતે નિભાવતી આવી છે. વિધિ જાદવે ફરી એક વખત મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના એક શહીદ જવાનના પરિવારને આર્થિક મદદ પહોંચાડી છે.
વિધિને તેના આ કાર્ય બાબતે પૂછવામાં આવ્યું કે શહીદ પરિવારો માટે બીજું કઈ કરવાનો કોઈ વિચાર આવે છે ? તો આ સંદર્ભે તેણીએ જણાવ્યું કે તેઓ શહીદ થયેલા સૈનિક પરિવારો પૈકી જે પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા પરિવારના સંતાનોના શિક્ષણનો ખર્ચ તથા ખાસ કરીને તેઓની દિકરીઓના લગ્નમાં પણ આર્થિક મદદ કરવાની ઈચ્છા ધરાવે છે.
વિધિએ આજ સુધી કુલ ૩૪૭ શહિદ સૈનિકના પરિવારોને મદદ કરી ચૂકી છે અને તે પૈકી ૧૫૪ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે તેમજ જુદા જુદા રાજ્યોમાં ૧૦ શહીદ સૈનિકોના સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે.

આ મુલાકાત દરમિયાન વિધિએ જણાવ્યું કે શહીદ સૈનિક રાયસંગજી ઠાકોરના પિતા સવાજીભાઈ ખેતમજૂર છે. તેઓના નામે કોઈ જમીન નથી. આ પિતાને બે પુત્ર અને બે નાની દિકરીઓ છે. તેઓનો એક મોટો પુત્ર પણ ખેત મજુરી કરે છે. જ્યારે આ શહીદ થયેલા સૈનિક પુત્ર એક માત્ર આધાર હતા. હજુ બે નાની દિકરીઓના લગ્ન કરવાના બાકી છે. આ શહીદ સૈનિકને આઠ માસનો પુત્ર છે. તેઓને એક ઓરડાનું નાનકડું પતરા વાળું મકાન છે જે આ શહીદ પુત્રએ મહામહેનતે બનાવ્યું હતું. રાયસંગજી ઠાકોરનું અવસાન તાજેતરમાં ગંગટોક પાસે થયેલા એક અકસ્માતમાં થયું હતું.
વિધિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ખરેખર આ શહીદ પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. આપણા દેશની રક્ષા કાજે શહીદ થયેલા આ સૈનિકના પરિવારની રક્ષા કે ચિંતા હવે કોણ કરશે? અને પિતાની છત્રછાયા ગુમાવનાર આ આઠ માસના નિર્દોષ બાળકના ભવિષ્યનું શું ? જ્યારે આપણા દેશના કોઈ સૈનિક દેશની રક્ષા કરતા શહીદ થાય ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ પરંતુ આ ગર્વની પાછળ તેના માતા પિતા, પરિવારની રહેલી વેદના પણ સમજવી જરૂરી છે.
આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
આણંદની કોલેજમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે.

નડિયાદની વિધિ જાદવ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે. વિધિ જાદવે અત્યાર સુધી ૧૫૪થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.
વધુમાં આ પ્રવૃત્તિ સાથે સાથે વિધિ પરા વિસ્તારની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપે છે. અનાથ અને ગરીબ બાળકો માટે કપડાં,શાળાની ફી, અનાજ વિગેરેની વ્યવસ્થા પણ કરે છે.
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને…
(સંપર્ક : રાજેન્દ્ર જાદવ મો.નં.9925759506)
ઇનપુટ : દિગ્વિજય પાઠક.