Published by: Rana kajal
- ભરૂચમાં ₹150 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનીક બસપોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
- આગામી વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ અને વાવાઝોડાની આફ્ટમાંથી મુક્તિનું સાધન એટલે પર્યાવરણનું જતન : CM
- યુવાનોનું સ્વપ્ન સાકાર કરનાર ધરતી ભરૂચની ભૂમિ બની રહી છે : હર્ષ સંઘવી
ભરૂચમાં 6 વર્ષે ₹150 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનીક બસપોર્ટ અને સિટી સેન્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.

ભરૂચમાં બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ₹150 કરોડના ખર્ચે બનેલા આઇકોનીક બસપોર્ટનું લોકાર્પણ કરાયું હતું.
CM એ વિશ્વ યોગદિનની દરેકને શુભકામના આપી, યોગાનું યોગ આજે 9મો યોગ દિવસ અને નરેન્દ્ર મોદીની સરકારના 9 વર્ષનો સંયોગ બન્યો હોવાનું કહ્યું હતું.
વડાપ્રધાન નાનામાં નાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા સતત કાર્ય કરી રહ્યાં છે. હવાઈ સફર જેવી સુવિધાનો અહેસાસ ગરીબ માણસ પણ કરે તે માટે એરપોર્ટ કક્ષાના બસ સ્ટેશન બનાવી તેની કાયાકલ્પ બસપોર્ટ તરીકે થઈ રહી છે.

તેના જ ફળ સ્વરૂપે આજે ભરૂચ બસપોર્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. એસ.ટી. બસની પેહલા છાપ એવી હતી કે, ચાલતી હોય એટલે હોર્ન સિવાય બધું વાગે. આજે 50 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે અને આગામી સમયમાં અન્ય 250 નો ઉમેરો થશે.
આ સુંદર આધુનિક બસ પોર્ટની કાળજી રાખવાની જવાબદારી તેઓએ તમામ ભરૂચ જિલ્લા પ્રજાની હોવાનું ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ હાલના જ બિપોરજોય વાવાઝોડાને યાદ કરી પર્યાવરણના જતન પર ભાર મુક્યો હતો. આવનર સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને વવાઝોડામાંથી મુક્તિનું સાધન તેઓએ પર્યાવરણને લેખવ્યું હતું.

પરિવહન અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ બસ્પોર્ટને જિલ્લા માટે ખૂબ મહત્વની ભેટ કહી હતી. સાથે જ રાજ્યમાં આ વર્ષે નવી 2000 બસો સંચાલનમાં મુકાશે તેવી જાહેરાત કરી હતી.
ભરૂચ જિલ્લામાં એસ.ટી. બસોની 300 ટ્રીપોમાં 16000 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પરિવહન ખર્ચ સરકાર ઉઠાવી રહી હોવાનું કહી ભરૂચ GSRTC માં આગામી સમયમાં નવા રૂટ, નવી બસો આપવાની વાત કરી હતી. તેઓએ અંતમાં યુવાઓના સપના સાકાર કરવાની ભૂમિ ભરૂચ બની રહી હોય ત્યારે પબ્લિક પરિવહન પર વિશેષ ભાર મુક્યો હતો.

લોકાર્પણમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, DDO પી.આર.જોષી, IG સંદીપ સિંહ, SP ડો. લીના પાટીલ, સિટી સેન્ટરના નિર્માણકર્તા કિરણ મજમુદાર, ભરૂચ ST ના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
ભરૂચ સિટી બસપોર્ટ રાજ્યની પેહલી બિલ્ડીંગ જેમાં 19 લિફ્ટ
ભરૂચ બસપોર્ટ સિટી સેન્ટર રાજ્યની પેહલી એવી બિલ્ડીંગ બની ગઈ છે. જેમાં બેઝમેન્ટ પાર્કિંગથી 19 લિફ્ટ છે. સાથે જ 3 એક્સેલેટર, 13 પ્લેટફોર્મ, ગ્રાઉન્ડ પ્લસ 3 માળ, 700 કાર પાર્કિંગ એરિયા અને 25000 લોકો અવરજવર કરી શકે તેટલી બસ પોર્ટની ક્ષમતા છે.
