- કેનાલ હેડ અને ભૂગર્ભ પાવર હાઉસના તમામ 11 ટર્બાઇન સતત 24 કલાક ધમધમી રહ્યા છે
- પાવર જનરેશનનો લાભ ગુજરાત, મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યને મળે છે
- ડેમની સપાટી 135.78 મીટરે, જળાશયમાં 91 ટકા પાણીનો જથ્થો સંગ્રહ
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી મંગળવારે 4 કલાકે 135.78 મીટરે નોંધાઇ છે. MP માં ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધતાં નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલી 5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં આ લેવલે ગ્રોસ સ્ટોરેજ 8599.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) જથ્થો છે અને આજની સ્થિતીએ ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયેલ છે. છેલ્લા 34 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં કુલ રૂ. 161.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કર્યું હોવાની જાણકારી પણ સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.

સોમવારે નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની જાવક માટે ખુલ્લા રખાયેલા 10 દરવાજાની સંખ્યામાં બપોરે 12 કલાકે વધારો કરીને 15 દરવાજા 2.35 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને સરેરાશ આશરે 2 25 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) સામે 2.50 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરવામાં આવી હતી.
ભૂગર્ભ વિદ્યુત જળ મથક દ્વારા વિજ ઉત્પાદન બાદ 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ 2.95 લાખ પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડાઇ રહ્યો હતો. ત્યારબાદ પણ ઉપરવાસમાં ભારે વરસાદ અને ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક સતત વધવાને કારણોસર ગઇકાલે સાંજે 5 કલાકે પુન: ડેમના 23 દરવાજા 2.15 મીટરની ઉંચાઇ સુધી ખોલીને નર્મદા ડેમમાં સરેરાશ અંદાજે 3.13 લાખ ક્યુસેક પાણીની આવક (ઇન્ફ્લો) ની સામે 3.50 લાખ ક્યુસેક પાણીની જાવક (આઉટફ્લો) કરાયો હતો. RBPH માંથી 45 હજાર ક્યુસેક પાણી સહિત કુલ સરેરાશ આશરે 3.95 લાખ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો હતો.
છેલ્લા 34 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે નોંધાયેલ હતી. હાલમાં છેલ્લા 34 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક સતત કાર્યરત સાથે ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 4.41 કરોડની કિંમતનુ 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આમ આજદિન સહિત 34 દિવસથી આશરે કુલ 150 કરોડનું વિજ ઉત્પાદન કરાયું છે. તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા 4 કેનાલ હેડ પાવર હાઉસ 12 ઓગષ્ટથી સતત કાર્યરત છે અને આજે 23 મી ઓગષ્ટની સ્થિતિએ હાલમાં સરેરાશ ₹98 લાખની કિંમતનું 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. અને દૈનિક સરેરાશ 17 હજાર ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે. આમ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 12 દિવસમાં આશરે કુલ રૂ. 11.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું છે, તેવી જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર સાબદુ કરાયું છે. નિચાણવાળા કાંઠા વિસ્તારના સંભવત: અસરગ્રસ્ત ગામોના લોકોને નદીમા અવર-જવર ન કરવા તેમજ પશુઓની અવર-જવર ન થાય તે માટે સાવધ કરવામાં આવ્યાં છે. સુરક્ષાના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.