Published By : Patel Shital
- ધારાસભ્યએ બોર કરાવી પહેલું પાણી પીધું
- પહેલીવાર 7 થી 8 બોર બન્યા
- હજી પણ જિલ્લાના 12 થી વધુ ગામોમાં પાણી, મોબાઈલ કનેટિવિટી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ : BJP MLA
ત્રણ રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર નર્મદા જળાશય જે નર્મદા જિલ્લામાં છે ત્યાં ના જ લોકો પીવાના પાણીથી આઝાદી સમયથી વંચિત છે. નર્મદા ડેમની ગોદમાં વસેલા ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામના તમામ લોકો માત્ર એક કુવાના પાણી પર નિર્ભર હતા. જેમને માટે 7 થી 8 બોર કરાવી નાંદોદ મહિલા ધારાસભ્ય એ પાણીની સમસ્યાનો અંત લાવ્યો છે.
આઝાદીના 75 વર્ષે આદિવાસી નર્મદા જિલ્લાના અંતરિયાળ ચીનકુવા ગામે પહેલીવાર પીવાનું પાણી ઉપલબ્ધ થતા ગામમાં હાલ આંદોત્સવ છવાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની ગોદમાં રહેલા આદિવાસી નર્મદા જિલ્લાના કેટલાય ગામો આજે પણ પીવાના પાણીની સુવિધાથી વંચિત છે. અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિને લઈ 75 વર્ષે પણ પીવાના પાણીની સમસ્યા છે.

આજે પણ નર્મદા જિલ્લાના એવા ગામો છે જ્યાં જંગલોમાં આદિવસીઓ માટે કોઈ સુવિધાઓ નથી. જિલ્લાના 12 થી વધુ એવા ગામો છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી નથી. હજુ અહીં પાણીની મોટી સમસ્યાઓ છે.
જોકે ગરૂડેશ્વર તાલુકાના ચીનકુવા ગામે આઝાદીના અમૃતકાળમાં પ્રથમ વાર પાણીની સુવિધાઓ ઉભી થઇ છે. પ્રથમવાર કોઈ ધારાસભ્ય આ ગામના લોકોની મુલાકાત કરી છે.
એક કુવામાંથી પાણી પીવા મજબૂર ગ્રામજનોને 7 થી 8 જેટલા બોર વિવિધ યોજનામાંથી કરાવી ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ જાતે પોતાના કાર્યકર્તાઓ સાથે ચીનકુવા ગયા હતા. ભાજપના નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સ્વીકાર્યું હતું કે, હજુ નર્મદા જીલ્લામાં અંતરિયાળ ગામોમાં પાયાની સુવિધાઓ ના હોય જ્યાં જઈ ને અમે વધારીશું.