- નવરાત્રિમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટલ-રેસ્ટોરાં ખુલ્લી રાખી શકાશેઃ ગૃહરાજ્યમંત્રીની જાહેરાત
કોરોનકાળ બાદ બે વર્ષ બાદ આ વર્ષે ધામધુમથી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ખેલૈયાઓ પણ ગરબે ઘુમવાના મૂળમાં છે તેવામાં આ વર્ષે રાતે 12 વાગ્યા સુધી ગરબા રમી શકાશે તે બાદ રાતે 12 વાગ્યા બાદ રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રિનો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગરબા ખેલૈયાઓને ખુશ કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ લોકો ગરબા માણી ખાઈપીને નિરાંતે ઘરે જાય એવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આજે પોલીસતંત્ર સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરીશું. આ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો ગરબામાં ઘૂમનાર લોકો માટે રાતે 12 પછી પણ ખાણીપીણી માટેની વ્યવસ્થા થઈ શકે તે માટે રાતે 12 પછી રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવા માટેની છૂટ આપવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજરોજ આ જાહેરાત કરવામાં આવતા ખેલૈયાઓમાં પણ વિશેષ આનંદ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ પણ કહી રહ્યા છે કે 12 પહેલા માઈ પુજા અને ત્યાર બાદ પેટ પુજા કરવાનું આ વખતે સરકારે વિશેષ આયોજન કર્યું છે.