Published by : Anu Shukla
- આરોપીના ઘર-મેરેજ હોલને આગ લગાવાઈ
- ઘટના સમયે પોલીસ કર્મચારીઓ પણ હતા, તેમ છતાં ફાયરિંગ કરનારાઓને ન રોકી શક્યા
- ફાયરિંગની ઘટનામાં હજુ સુધી કોઈની પણ ધરપકડ નહીં, ગ્રામજનો પણ કંઈ કહેવાનું ટાળ્યું
રાજધાની પટણાના નદી પોલીસ સ્ટેશનના જેઠુલી ગામમાં પાર્કિંગને લઈને 50 રાઉન્ડ ફાયરિંગ થઈ છે. ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, તમામ ઈજાગ્રસ્તોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને મેરેજ હોલને આગ લગાવી દીધી છે.
પોલીસે ઘરમાં ઘૂસી મહિલા અને બાળકોને બહાર નિકાળ્યા છે. મૃતકના પરિવારજનો સંજીત કુમારે જણાવ્યું કે પાર્કિંગના કારણે આ ગંભીર ઘટના બની છે. તેમણે જણાવ્યું કે તેમનો ભત્રીજો કાર પાર્ક કરી રહ્યો હતો. આ દરમિયાન ગામના દબંગો ઉમેશ રાય, બચ્ચા રાય તેના કેટલાક માણસો સાથે અહીં ધસી આવ્યો હતો અને ધમકાવવા અને વિવાદ ઉભો કરવા લાગ્યો હતો, જે અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી.
પોલીસ કર્મચારીઓ હોવા છતાં ફાયરિંગ
પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પણ હાજર હતા. જોકે આ પોલીસ કર્મચારીઓ ફાયરિંગ કરનારાઓને ગોળીબાર કરતા રોકી શક્યા ન હતા. ઉમેશ રાયને જોતા જ બચ્ચા રાયના માણસો ઉશ્કેરાઈ જઈ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું, જેમાં મારા ભત્રીજા ગૌતમ કુમાર (22 વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે રોશન કુમાર (18 વર્ષ)નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે મારા 3 સંબંધીઓ ચનારિક રાય (45 વર્ષ), મોનારિક રાય (48 વર્ષ) અને નાગેન્દ્ર રાય (35 વર્ષ)ની હાલત નાજુક છે.
પોલીસનું ફાયરિંગ છતાં અસામાજીક તત્વોનો પડકાર યથાવત્
પરિવારના સભ્ય સંજીત કુમારના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના સમયે પોલીસ દ્વારા ફાયરિંગ કરનારાઓને રોકવા માટે એરિયલ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ કોમ્યુનિટી હોલ સહિત અનેક ઈમારતોને આગ ચાંપી દીધી હતી. કોમ્યુનિટી હોલની પાછળ ગેસનું ગોડાઉન છે.
ઘટના અંગે ગ્રામજનોનું મૌન
આ ઘટનાને પગલે વિસ્તારના લોકો શોકગ્રસ્ત થઈ ગયા છે. ચોંધાર આંસુએ સ્વજનોની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સાથે જ ગ્રામજનો પણ કંઈ કહેવાનું ટાળી રહ્યા છે.