દેશમાં પનીર અને બિસ્કીટ જેવી ખાવાની બેઝિક ચીજો પર જીએસટી હોય તો લોકોના ખિસ્સામાં ફિલ્મ જોવાના પૈસા ક્યાંથી બચે એવું વિધાન જાણીતા ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપ એ કર્યું છે. અનુરાગ કશ્યપના કહેવા અનુસાર ખાદ્ય ચીજો પર જીએસટી જેવી બાબતો પર લોકોનું ધ્યાન ભટકાવવા માટે બોયકોટની ગેમ ખેલવામાં આવી રહી છે.
અનુરાગે કહ્યું હતું કે દેશની આઝાદીને 75 વર્ષ થયા પરંતુ બોલીવુડ આઝાદ નથી થયું. અત્યારે અર્થતંત્રની હાલત બહુ ખરાબ છે તેના પરથી લોકોનું ધ્યાન વાળવા બોલીવુડ અને ક્રિકેટની જ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકોને બોલીવુડમાં અટવાયેલા રાખી અસલી સમસ્યાઓથી વિમુખ કરવામાં આવી રહ્યા છે.
અનુરાગે બોલીવુડની ફિલ્મોની કન્ટેન્ટનો બચાવ કરતા કહ્યું હતું કે વાસ્તવમાં પરિસ્થિતિ એટલી ખરાબ પણ નથી કે જેવું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. એક કાલ્પનિક હાઉ ઉભો કરી ફિલ્મ સર્જકોને ડરાવવામાં આવી રહ્યા છે. સાઉથની જ ફિલ્મો હિટ થાય છે એવી એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી છે. તપાસ કરો તો ખ્યાલ આવશે કે સાઉથમાં પણ બધી જ ફિલ્મો સુપરહિટ થઈ છે એવું નથી.