Published by : Rana Kajal
અમદાવાદની ડમ્પિંગ સાઈટ ઉપર ઉભુ થયું જડેશ્વર વન…. શું ભરૂચ નગરપાલીકા બોધપાઠ લેશે ખરી…?
વર્ષોથી ભરૂચ નગરપાલીકાને ડમ્પીંગ સાઈટ મળતી નથી. સાયખા ડમ્પીંગ સાઈટ નો પણ ઉપયોગ થઈ શકતો નથી ત્યારે અમદાવાદ મહાનગર પાલીકાએ કચરા માથી કંચન નો પ્રોજેક્ટ કરી સુંદર વન ઉભુ કરી આર્દશ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ત્યારે ભરૂચ નગર પાલીકા ઉદાહરણ લેશે ખરી એવી લોકો ચર્ચા કરી રહ્યા છે… અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો , જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ 2019માં ‘ જડેશ્વર સાંસ્કૃતિક વન ‘ નું નિર્માણ કરવામાં આવ્યું છે.જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, વર્ષ 2019માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું ત્યારથી લઇને 31 માર્ચ 2023 સુધીમાં અંદાજિત 8 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં 140.30 ટન અને 10માં વર્ષે 188.40 ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળી રહ્યું છે વનમાં કુલ 2,85,986થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ 22 બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે 4.5 કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિ્ર્માણ પણ કરાયું છે. આ સાંસ્કૃતિક વનમાં આશરે 1 કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર 100 મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આવા સુંદર વન પરથી ભરૂચ નગરપાલીકા અને જીલ્લાની નગરપાલિકાઓ ઉદાહરણ લઈ કચરાનો નિકાલ સાથેજ પર્યાવરણની જાળવણી અને ઓકસીજન બેંક ઉભી કરશે ખરી..?