Published By:-Bhavika Sasiya
- PM શાહબાઝ શરીફે રાતોરાત સંસદ કરી ભંગ, હવે કોણ સંભાળશે સત્તા? તે મુખ્ય પ્રશ્ન….
- પાકિસ્તાનની સંસદની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા ભંગ કરવામાં આવી છે…..
પાકિસ્તાનની સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થાય તેના માત્ર ત્રણ દિવસ પહેલાં જ સંસદને ભંગ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ગતરોજ બુધવારે મોડી રાતે મંજૂરી આપી દીધી હતી. તેનાથી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો અને આગામી સામાન્ય ચૂંટણી યોજવાનો માર્ગ પણ મોકળો થયો. હવે પાકિસ્તાનમાં નવી ચૂંટાયેલી સરકારની રચના સુધી કાર્યવાહક સરકાર સત્તા સંભાળશે. વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે મોડી રાતે સંસદ ભંગ કરવાની ભલામણ રાષ્ટ્રપતિ અલ્વી સમક્ષ મોકલી હતી. રાષ્ટ્રપતિ અલ્વીએ તેમાં વિલંબ કર્યા વિના મંજૂરી આપી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 58 હેઠળ વડાપ્રધાનની સલાહ બાદ નેશનલ એસેમ્બલીને ભંગ કરવાનો નિર્ણય લીધો છે. ટેક્નિકલ આધારે હવે પાકિસ્તાનમાં ચૂંટણી યોજવાની સમયમર્યાદા બે મહિનાથી વધારી ત્રણ મહિના થઈ જશે. ખરેખર પાકિસ્તાનમાં નિયમ કહે છે કે જો નેશનલ એસેમ્બલી કાર્યકાળ પૂરો કરે તો ચૂંટણી પંચે બે મહિનામાં દેશમાં નવી ચૂંટણી યોજવી પડશે. જો એસેમ્બલી કાર્યકાળ પૂરો કર્યા વિના ભંગ કરે તો પંચ સામે 90 દિવસમાં ચૂંટણી યોજવાની મુદ્દત રહે છે. હવે 30 દિવસનો સમયગાળો વધી ગયો છે.