Published By : Parul Patel
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી એક પરુષની 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા હત્યારાઓએ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી પરુષને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું છે. પાદરા પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા, અને આજે દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટેલી મુજપુર ગામના ગેમલસિંહ પરમારની લાશ મળી આવતા મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી
સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, હાલ લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો છે. સાથે પરિવારજનોની ફરિયાદ લઇ અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હત્યા કયા કારણોસર થઇ શકે છે તે અંગે પરિવારજનો દ્વારા પણ હજુ સુધી કોઇ માહિતી પોલીસને આપવામાં આવી નથી. હત્યારાઓને શોધી કાઢવા માટે પાદરા પોલીસ, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહીત જિલ્લા એસ.ઓ.જી ની ટીમોએ તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી હત્યારાઓનો કોઇ સગડ મળ્યા નથી…