Published by : Vanshika Gor
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલા પાનોલી ઋષિકુલ ગૌધામના મહંત સહિત દસ લોકોએ જમીન દલાલ ભાઈઓ સહિત ચાર લોકો પર નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રવિવારે રાત્રે હુમલો કર્યો હતો. નાણાકીય લેતીદેતી અંગે હુમલો કર્યો હોવાની શંકા. સેવાઇ રહી છે.
હુમલાખોરો ત્રણ કારમાં આવેલા હથિયારોથી સજ્જ શખ્સોએ લાકડીઓ અને પાઈપોથી હુમલો કરી બે લોકોને ઈજા કરી અને તેઓની કારના કાચ તોડી નાંખ્યા હતા. નાણાંકીય લેતીદેતીમાં હુમલાનો બનાવ બન્યાનો ઉલ્લેખ નારણપુરા પોલીસની ફરિયાદમાં છે. ત્રણ કારમાં આવેલા મહંત સહિતના શખ્સોએ જમીન દલાલ પર હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો હતો.નારણપુરાની મિત્ર મિલન સોસાયટીમાં રહેતાં અને એસ.જી.હાઈવે પર કારગીલ પંપ સામે ઈલાઈટ કોર્મશીયલ કોમ્પ્લેક્ષમાં એસ્ટેટ બ્રોકરની ઓફિસ ધરાવતા ગૌરાંગ અશ્વિનભાઈ પરમાર (ઉં,૩૦)એ ભરૂચ પાનોલી ઋષિકુલ ગૌધામના માધવ સ્વામી મહંત સહિત દસ જણા સામે ફરિયાદ આપી છે. જે મુજબ ફરિયાદી અને તેમના ભાઈએ મહંતને શંખેશ્વર ખાતે જમીન લેવાની હોવાથી ગાંધીનગરના બ્રોકર સુનિલ જોષી મારફતે જમીન બતાવી હતી. જમીન લેવાનું નક્કી થયું તેમાં ફરિયાદી મધ્યસ્થી હતા. જો કે, જમીનનો સોદો કેન્સલ થયો હતો.
આ દરમિયાન માધવ સ્વામી મહંતે એસ્ટેટ બ્રોકર સુનિલ જોષી પાસેથી રૂ.૨૧ લાખ ઉછીના લીધા હતા પરંતુ વાયદા મુજબ પરત કર્યા ન હતા. સુનિલ જોષીએ આ પૈસા કઢાવવા માટે ફરિયાદી ગૌરાંગભાઈને બે મહિના પહેલા વાત કરી હતી. ફરિયાદીએ માધવ સ્વામીને પૈસા આપી દેવા ફોન કરતા તેઓએ રવિવારે ફોન કરી પૈસા આપવાની વાત કરી હતી. માધવ સ્વામીએ ફરિયાદીને લોકેશન મોકલવા જણાવ્યું હતું. ફરિયાદી, તેના ચેતન, મિત્ર રાહુલ પંડયા અને શંકર ભરવાડ અંકુર ચાર રસ્તા પાસે સેન્ડવીચની દૂકાને નાસ્તો કરતા હતા. મહંતને લોકેશન મોકલતા તેઓ આઠ થી દસ અજાણ્યા માણસોને લઈને ત્રણ કારમાં અંકુર પહોંચ્યા હતા. મહંતે ઈશારો કરતા તેમની સાથે માણસો ગાડીઓમાંથી લાકડી, પાઈપો અને હોકી લઈને નીચે ઉતર્યા અને ફરિયાદી સહિતના લોકો પર હુમલો કર્યો તેમજ ગાડીઓના કાચ તોડી નાંખ્યા હતા. ફરિયાદી ગૌરાંગ અને તેના ભાઈ ચેતનને સારવાર અર્થે એસજી હાઈવેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. નારણપુરા પોલીસે માધવ મહંત સ્વામી સહિતના લોકો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.