Published By : Parul Patel
અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત દાદા-દાદી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ વિસ્તારમાં ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત 14 સરકારી પ્રાથમિક શાળામાં ઉત્થાન સહાયકો કાર્યરત છે. ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારની 14 પ્રાથમિક શાળામાં નવમી સપ્ટેમ્બને દાદા-દાદી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓના દાદા-દાદીને આમંત્રણ આપી શાળામાં બોલવાયા હતા.
આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ દાદા દાદીને ફૂલ આપ્યું હતું અને દીપ પ્રગટાવી આરતી ઉતારી એમનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓએ દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. આ ઉજવણીમાં લગભગ 2800 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વડીલોને ઉચ્ચ સ્થાને માનવામાં આવે છે. વડીલોના આશીર્વાદ અને એમની હાજરી બાળકોના જીવનમાં ખૂબ પ્રેરણાદય હોય છે. એટલા માટે બાળકો માં આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય સાથે દાદા દાદીને પણ વિશેષ માન સન્માન મળે એ હેતુથી અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટમાં દાદા દાદી દિવસ દરવર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષની ઉજવણી દરમિયાન એવું પ્રથમ વખત બન્યું કે દાદા-દાદી દિવસની ઉજવણી વખતે કેટલાક વડીલોએ શાળાને દાન આપ્યું હોય. લગભગ 3200 રૂપિયાનું દાન શાળાને મળ્યું હતું. દાદા દાદી દ્વારા પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમને કોઈ શાળામાં મળ્યું હોય એવું આ પ્રથમ સન્માન છે. અમારા બાળકો શિક્ષણ સાથે સંસ્કાર પણ મેળવે તેવી આ ઉજવણીનું આયોજન અદાણી ફાઉન્ડેશન દ્વારા થયું એ બહુ આવકારદાયક છે.