Published by : Vanshika Gor
- ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 39 જિલ્લામાં ભીલપ્રદેશની મોહિમ છેડીશું : ચૈતર વસાવા
- આદિવાસીઓ માટે અલગ રાજયથી અરાજકતા ફેલાશે : BJP સાંસદ મનસુખ વસાવા
- AAP ના ધારાસભ્યનો મુદ્દો ઉછાળવા પાછળ બે રાજ્યોની ચૂંટણી કે ગુજરાતમાં આદિવાસીઓની સ્થિતિ કારણભૂત હોઈ શકે : કોંગ્રેસ MLA અનંત પટેલ
હવે ભીલપ્રદેશ આદિવાસીઓ માટે અલગ ભીલીસ્તાન રાજ્યની આપના ધારાસભ્ય ચૈતર વસાવાની માંગને લઈ આદિવાસી ભાજપ અને કોંગ્રેસના સાંસદ, ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે.દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના 39 જિલ્લામાં આદિવાસીઓની બહુધા વસ્તીને લઈ અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી કરતા રાજકારણ ગરમાયુ છે.
સામે ભરૂચ ભાજપના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા અલગ ભીલ પ્રદેશનો મુદ્દો સૌપ્રથમ સંજીવ ડામોરે વર્ષો પહેલા ઉઠાવ્યો હતો. જોકે ભીલીસ્તાનની ચળવળમાં તેઓ અને બાદમાં અન્ય કેટલાય નેતાઓ સફળ થયા ન હતા. ભીલીસ્તાનને આદિવાસી પ્રજાનો સહયોગ ક્યારેય મળ્યો નથી. એના કરતાં રાષ્ટ્રીય લેવલે આદિવાસીઓનું એક મજબૂત સંગઠન હોવું જોઈએ. ભીલીસ્તાનથી અરાજકતા ફેલાશે. આદિવાસી અને બીનઆદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થશે. હાલ રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે ફક્ત તેનો જ નીચલા સ્તરે યોગ્ય અમલ કરાવવાની જરૂર છે.
બીજી તરફ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે પણ AAP ના ધારાસભ્યએ ઉઠાવેલા મુદા અંગે તેઓની પ્રતિક્રિયા આપી છે. અનંત પટેલે આગામી મદયપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીને લઈ આપ નેતાએ આદિવાસી વોટબેંક માટે ફરી આ મુદ્દો ઉછાલ્યો હોવાનું તેમનું માનવું છે. સાથે જ ગુજરાતમાં આદિવાસીઓની કપરી સ્થિતિ હોય કદાચ એ કારણે પણ અલગ ભીલીસ્તાનની આપના આદિવાસી નેતાએ માંગ કરી હોવાનું કોંગી આદિવાસી નેતાએ અનુમાન લગાવ્યું છે.