Published by : Rana Kajal
ઝોલા છાપ તબીબનો ભોગ બનેલ સુનીતા કહે છે…ઍક કિડની મને લગાવી આપો… હું પણ દસ વર્ષ જીવી જઈશ…
બિહાર રાજયમાં ઝોલાછાપ તબીબો એટલેકે બોગસ તબીબોના કારણે લોકોને કેટલું સહન કરવું પડે છે તે અંગેની દુખ ભરેલ વિગતો સુનીતા નામની મહિલાની પરિસ્થિતી પરથી જાણવા મળી છે.ઝોલાછાપ તબીબોના કારણે સુનીતા ની બન્ને કિડની ફેઇલ થઈ ગઈ છે હવે તે આજીજી કરી રહી છે કે…મને ઍક કિડની આપો..હું પણ દસ વર્ષ જીવી જઈશ … હાલ સુનીતા મુઝફ્ફરપુર નગરમાં આવેલ શ્રી કૃષ્ણ હોસ્પીટલના આઇ. સી. યુ. વોર્ડમાં સારવાર લઈ રહી છે. તેની સાથે તેના પતિ અક્લુરામ પણ છે.સુનીતાને ઍક સપ્તાહમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડી રહ્યું છે. જેથી તે જીવીત રહી શકી છે . ડાયાલિસિસ પર ઘણાં લોકો જીવન ગુજારી રહ્યાં છે પરંતું અઠ્ઠાવીસ વર્ષની સુનીતા ચાર મહીના કરતા વધુ સમયથી કિડની વગર જીવી રહી છે.
સુનીતાદેવીની દુખ ભરેલ વિગતો જોતા તે બિહાર રાજયના મુઝફ્ફરપુર જિલ્લાના મથુરાપુર સિહો ગામની રહેવાસી છે.તે ત્રણ સંતાનોની માતા છે . જ્યારે પતિ અક્લુરામ મજૂરી કરી કુટુંબનુ ભરણપોષણ કરે છે.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુનિતાને પેટમાં દુખાવો થયો હતો. જેથી ગામના દવાખાનાના તબીબે તેની સારવાર કરી હતી. પરંતુ પેટનો દુખાવો યથાવત રહેતાં તબીબ પવનકુમારે ગર્ભાશયના ઓપરેશનની સલાહ આપી હતી જેથી દવાખાનામાં રૂ ૨૦ હજાર જમા કરાવી ગર્ભાશયનુ ઓપરેશન કરાવ્યું હતું. જૉકે આ ઓપરેશન માટે પતિની ઈચ્છા ન હોવા છતાં સુનીતાએ ઓપરેશનની જીદ કરી હતી.
પરંતું ઓપરેશન બાદ પેશાબ બંધ થઈ ગયો હતો. આવા સમયે તબીબ પવન કુમારે એમ જણાવ્યુ હતું કે સુનીતાને સારવાર માટે પટના ગુરૂ પાસે લઈ જઈશું. જેથી સુનીતાને પટનાની ગંગારામ હોસ્પીટલમા લઈ જવાઈ પરંતું ત્યાંથી પટણા મેડીકલ કોલેજની હૉસ્પિટલમા સારવાર અર્થે જવા જણાવાયુ હતુ.
તે સાથે સુનીતાની માતા તેતરીદેવીએ પોલિસ ફરીયાદ નોંધાવી હતી. જેમા આ સમગ્ર બાબત જણાવવામાં હતી. જેની તપાસમાં પવન બોગસ ઝોલાછાપ તબીબ જણાતા તેની અટક કરવામાં આવી છે. તપાસ દરમિયાન પવન એક તબીબના દવાખાનામા કમ્પાઉન્ડર તરીકે કામ કર્યુ હોવાનુ જણાયું છે. હજી અન્ય આરોપીઓની અટક કરવાની બાકી છે. તેવાં સમયે સુનિતા જણાવી રહી છે કે હાલ અમારી દશા ફૂટબોલ જેવી થઈ ગઈ છે આજે ઍક હોસ્પિટલમાં તો કાલે બીજી હોસ્પિટલમાં. હવે તો પતિ મજૂરીએ ન જતો હોય નાણાંની પણ અછત જણાઈ રહી છે… ત્યારે હાલતો સુનીતા કહી રહી છે કે ઍક કિડની પવનની મને અપાવો કે જેથી હું દસ વર્ષ જીવી શકું …