Published By : Disha PJB
બીપરજોય વાવાઝોડાનું સંકટ હાલ તો ગુજરાતમાં જોવામાં આવતું નથી પરંતુ હવે આની અસર ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ, માંડવી, જામનગરમાં જોવા મળી રહી છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને સુરત ભાજપ દ્વારા ફૂડ પેકેટ બનાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગતરોજ સવારે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા બીપરજોય વાવાઝોડાને લઈને અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે ફૂડ પેકેટ મોકલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

જેને લઈને સુરત ભાજપ કાર્યાલય ખાતે 1500 કિલો સુખડી અને 1500 કિલો ચવાણું બનીને તૈયાર તૈયાર છે. અને તે સાથે જ ગાંઠિયા, દૂધનો પાવડર, પાણીની બોટલો તમામ વસ્તુઓ પણ એકત્રિત કરી જામનગર, દ્વારકા, કચ્છ સહીતના અસરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે મોકલવામાં આવશે.

આ બાબતે સુરત શહેરના ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે, બીપરજોય વાવાઝોડું જે હાલ દરિયાની અંદર છે. તે ધીરેધીરે વિકરાળ બની રહ્યું છે. જે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જેમ કે, કચ્છ,જામનગર જેવા શહેરોને અસર કરે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

પરંતુ આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના તમામ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે, આવી પરિસ્થિતિમાં લોકોની મદદ માટે ખડેપગે તૈયાર રહે અને સુરત શહેર નહીં પરંતુ તમામ શહેર અને જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




