Published By : Disha PJB
સંભવિત “બીપોરજોય “વાવાઝોડાની આગાહીને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.સુરતમાં દસમી એટલે શનિવારથી લઈ ચાર દિવસ સુધી વરસાદ પડી શકે તેની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.જેને લઈને આજથી સુરતના ડુમસ અને સુવાલી બિચ ત્રણ દિવસ સુધી બંધ કરવામાં આવ્યા છે.સુવાલી બિચ ઉપર 4 થી 5 ફૂટ મોજા ઉછળી રહ્યા છે.
દરિયા કિનારે કોઈ આવે નહિ તે માટે પોલીસ મૂકી દેવામાં આવી છે.ત્યારે ઓલપાડની વાત કરીએ તો ત્યાં તાલુકા મામલતદાર અને ટીડીઓની ટીમે ડભારી દરિયા કિનારાની મુલાકાત કરી હતી. હાલ ડભારી દરિયામાં થોડો કરંટ જોવા મળી રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યુ હતુ. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.
આ બાબતે સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર બી.કે વસાવાએ જણાવ્યું કે, વાવાઝોડું પોરબંદરથી 680 કિલોમીટર દૂર છે.11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત પહોંચશે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે.દરિયા કાંઠાના 42 ગામડાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. SDRFની એક ટીમ એલર્ટ રાખવામાં આવી છે અને ગઈકાલે સ્થિતિ જોતા આજથી ત્રણ દિવસ સુધી સુરતના ડુમસ અને સુવાલી બિચ બંધ કરવામાં આવ્યા છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.




