Published by : Rana Kajal
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં, 400 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા આઠ વર્ષના તન્મયને બચાવવાની લડાઈ 60 કલાકથી ચાલી રહી છે. જમીનમાંથી નીકળતા પાણી અને ખડકોને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. બોરવેલમાંથી તન્મયને કાઢવા માટે બોરની સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે. 8 ફૂટ સુધીની ટનલ બનાવવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરંગ હજુ 4 ફૂટની બનવાની બાકી છે, પરંતુ તન્મય તરફથી કોઈ જવાબ ન મળવાથી ચિંતા વધી ગઈ છે.
સુરંગ બનાવવા માટે પથ્થર અને જમીનમાંથી નીકળી રહેલા પાણીના કારણે સમસ્યા થઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓ જણાવ્યું છે કે, રેસ્ક્યુ ઓપરેશન પુર્ણ થવાને માત્ર 4 કલાકનો સમય લાગી શકે છે. રેસ્ક્યુ ઓપરેશનમાં દેખરેખ રાખી રહેલા હોમગાર્ડે કમાન્ડર એસઆર આઝીમે જણાવ્યું કે, બોરવેલમાં તન્મય 39 ફીટ પર ફસાયો છે. બાળકની નોર્મલ હાઈટ 4 થી 5 ફુટની માની ખાડો ખોદવામાં આવી રહ્યો છે. ટનલ બનાવવામાં એનડીઆરએફ અને એસડીઆરએફના 61 જવાન કામે લાગ્યા છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બની હતી. તન્મય મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે બોરવેલમાં પડી ગયો હતો. બેતુલ જિલ્લા મેજિસ્ટ્રેટ અમનબીર સિંહ બેન્સે કહ્યું કે તન્મયને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા અધિકારીઓ, પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે. ડીએમએ કહ્યું કે તન્મય સુધી પહોંચવા માટે સમાંતર ટનલ બનાવવામાં આવી રહી છે.




