Published by : Vanshika Gor
રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ મહોત્સવ પાછળ કેટલાં ખર્ચ કરવામાં આવ્યો તે બાબતે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સરકારને પ્રશ્ન પુછ્યો હતો. રાજ્ય સરકારે દ્વારા બે વર્ષમાં યોજવામાં ઉત્સવની માહિતી અને ઉત્સવ પાછળ થયેલા ખર્ચની વિગતો રજૂ કરી હતી. જેમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 15 જેટલા ઉત્સવોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાવમાં આવ્યુ હતુ. વર્ષ 2021માં રાજ્ય સરકારે 15 જેટલા ઉત્સવો પાછળ 20 કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો હતો. જ્યારે વર્ષ 2022માં 30.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે બે વર્ષમાં ઉત્સવો પાછળ કુલ 50.60 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ કર્યો છે. જેમાં નવરાત્રિ ફેસ્ટિવલ, રણોત્સવ, ઘોળાવીરા ફેસ્ટિવલ, માઘુપુર મેળો શક્તિપીઠ પરિક્રમા જેવા ઉત્સવ પર સૌથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રિ ફેસ્ટિવલમાં વર્ષ 2021માં 319.07 લાખ અને વર્ષ 2022માં 674.38 ખર્ચ કરવામાં આવ્યો હતો. રણોત્સવમાં વર્ષ 2021માં 816.68 અને વર્ષ 2022માં 1221.67 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. વર્ષ 2022માં ઘોળાવીરા ઉત્સવ પાછળ 113.88 લાખ, માધુપુર મેળા પાછળ વર્ષ 2022માં 802.83 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકાર પ્રવાસનને વેગ મળે અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે માટે ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ છેલ્લા બે વર્ષમાં કેટલાં વિદેશી પ્રવાસી ગુજરાતમાં આવ્યા તેની માહિતી માગી હતી જેના જવાબ આપતાં સરકારે જણાવ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષમાં 465 વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ 2021માં 76 પ્રવાસીઓ અને વર્ષ 2022માં 389 પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. જો કે, કોરોનાકાળ દરમયિાન વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો.