Home Bharuch બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ…✍️ભરૂચના નવા યુવાન અને ઉત્સાહી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પાસે...

બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ…✍️ભરૂચના નવા યુવાન અને ઉત્સાહી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પાસે જિલ્લાની જનતાની અસંખ્ય અપેક્ષાઓ…

0

Published By : Parul Patel

  • ✍️ ભરૂચના નવા યુવાન અને ઉત્સાહી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પાસે જિલ્લાની જનતાની અસંખ્ય અપેક્ષાઓ…
  • ✍️ સંવેદનશીલ જિલ્લામાં નવા SPની નિમણુંક કોમી શાંતિ,ગુન્હાખોરી પર કાબુ, કડક-શિસ્ત બદ્ધ અધિકારીની છાપ ભરૂચને મદદરૂપ થશે??
  • ✍️ નવા SP સાહેબ માટે સહુથી મોટો પડકાર ભરૂચની શહેરની ટ્રાફિક સમસ્યા રહેશે ?!!!

ભરૂચ જિલ્લો ગુજરાતના ચાર જેટલા મહત્વના સંવેદન જિલ્લાઓમાં બીજા-ત્રીજા ક્રમે આવતો જિલ્લો છે. જો કે ભાજપ શાસનમાં બાબરી ધ્વંસ અને ગોધરા કાંડ પછી કોઈ મોટો કોમી અશાંતિનો નોંધપાત્ર બનાવ ભરૂચમાં બન્યો નથી. પણ ભરૂચ જિલ્લો એટલે સંવેદનશીલ મટી જતો નથી. સરકારની નજરમાં એ યથાવત રહે છે, એટલે રાજ્ય અને કેન્દ્ર સરકાર અહીં કડક, બાહોશ અને નિર્ભય, સ્વતંત્ર દ્રષ્ટિથી જિલ્લો સંભાળે એવા એસ.પી.ની નિમણુંક કરે એવી હંમેશા પ્રજાની લાગણી રહેતી હોય છે, જો કે એવા અધિકારીઓ લાંબો સમય અહીં ટકી જાય તો જ જિલ્લાને ફાયદો થાય એ સ્વભાવિક છે, પણ જિલ્લાના સ્થાનિક રાજકારણી, મોટા માથાઓ, હમેશા એવું જ ઇચ્છતા હોય છે કે ‘મારો’ માણસ જ કલેકટર અને એસપી હોય, તો જ બધુ મારું ધાર્યું થાય, કારણકે, આ જિલ્લો ઔદ્યોગિક રીતે રૂપિયાની ખાણ જેવો જિલ્લો છે, અને ભયંકર આંતરિક રાજકિય જુથબંધીથી પીડાતો જિલ્લો છે…જેમાં અનેકવાર બાહોશ અધિકારીઓ હોમાઈ જતા હોય છે, અને યોગ્ય, સક્ષમ અધિકારીઓ લાબું ટકતા નથી. પણ એક બીજી વાત પણ બહુ નોંધપાત્ર રહી છે કે, ભરૂચ જિલ્લામાં ફરજ બજાવનાર 60% જેટલા IAS/ IPS અધિકારી ભરૂચ જિલ્લો છોડ્યા બાદ, રાજ્યમાં ઉચ્ચ સ્થાનો પર જ ભરૂચથી વિદાય લેતા હોય છે, એમા પણ જિલ્લામાં ફરજ બજાવનાર કલેક્ટર્સ, તો ઘણા ભાજપના રાજમાં મોદી સાહેબની ગુડ બુકમાં છેક કેન્દ્રમાં અત્યંત મહત્વના સત્તા સ્થાને પહોંચ્યા છે, અને સર્વોચ્ચ સત્તા સ્થાને પહોંચ્યા છે. જેમાં રાજીવ ટોપનો, બી.બી સ્વેન, CAG બનેલા ગિરીશ ચંદ્ર મુર્મૂ મેડમ S.અપર્ણ, અવંતિકા સિંગ, અંજુ શર્મા જેવા શિરમોર નામો છે. ભરૂચમાં ફરજ બજાવ્યા બાદ આટલા ઊંચા પદોપર ભરૂચના કોઈ ઝાઝા SP ના નામો નથી, પણ તો યે આશિષ ભાટિયા, જ્ઞાનેન્દ્રસિંહ મલેક, અભય ચુડાસમા, પ્રવીણ સિન્હા, સંદીપ સિંગ, ગૌતમ પરમાર, ખત્રી સાહેબ જેવા અધિકારીઓ DG/DIG/IG બન્યાના ઘણા દાખલા છે…

ભરૂચ માત્ર કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ નથી, ગુન્હાખોરીમાં પણ થોડું આગળ, સક્રિય ખરું, કારણકે કોસ્મોપોલિટન શહેર તેની ઔદ્યોગિક વસાહતોના કારણે બની ચૂક્યું છે. અહીં યુ.પી.,બિહાર, બાંગ્લાદેશ થી માંડી, આસામ, ઓડિસ્સાના પણ અનેક પરપ્રાંતિઓનો નોંધપાત્ર વસવાટ ભરૂચ શહેરથી માંડી અંકલેશ્વર, પાનોલી, ઝગડીયા, દહેજ GIDCના રહીશ વિસ્તાર, ઝૂંપડપટ્ટીમાં નોંધપાત્ર સંખ્યામાં છે, એમા નાના મોટા ઓફિસર્સ પણ ખરા અને સહુથી મોટો મજૂરીયાત વર્ગ પણ મોટો…અને લગભગ 37-38% મુસ્લિમ વસ્તી, આખા ગામો દરિયા પટ્ટી પરના તો ખરા, જ્યાં ખુંખાર ગુન્હેગારોને ભૂતકાળમાં આશ્રય અપાયાનો ઇતિહાસ સાક્ષી છે.

શ્રમિક વર્ગમાં મજૂરો-મજૂરી-રોજગારી માટે સ્વર્ગ બનેલું ભરૂચ ગુન્હાખોરી માટે પણ સ્વર્ગ મનાય છે. ગુજરાતને સહુથી મોટી રેવન્યુ રળી આપતા ભરૂચ જિલ્લામાં અનેક નાના મોટા ગુન્હાહિત કૃત્યો થતાં રહે છે. એ પછી વ્યક્તિગત હત્યા હોય કે હત્યાકાંડો, બળાત્કાર હોય જે ઔદ્યોગિક નાના મોટા ઝગડા, આગ- અકસ્માત, ચોરીઓ, મોટી લૂંટફાટ હોય કે પછી આંગડિયાની લૂંટ હોય, કે આખે આખી ટ્રકોની ઉઠાંતરી, ગુન્હાખોરીનો પણ એક વ્યવસ્થિત વ્યવસાયનું નાનકડું મથક ભરૂચ બની ગયું છે. ભંગારિયાઓની વસાહતો પણ પોલીસ માટે માથાનો દુખાવો બને છે.

ભરૂચની ભૂગોળ પણ અટપટી છે, વિશાળ દરિયા કાંઠો, મોટો આદિવાસી વિસ્તારથી ઘેરાયેલું ભરૂચ અનેક સમસ્યાઓથી પીડાતું ભરૂચ રહ્યું છે…આવા સમયે પૂર્વ SP Dr. લીના પાટીલ સ્થિર બને, એ પહેલાજ વિદાય પામ્યા, ત્યારે ભરૂચ જિલ્લાની જનતા થોડું આશ્ચર્ય પામી. પણ સારું બેક ગ્રાઉન્ડ ધરાવતા અને ગાંધીનગરના વિશ્વાસપાત્ર, યુવાન અને બાહોશ IPS અધિકારી મયુર ચાવડાની નિયુક્તિ એ ભરૂચ જિલ્લાના પોલીસતંત્ર માટે એક વધુ આશાનું કિરણ જન્માવ્યું, જિલ્લામાં ખાસ જાણીતા નહીં, કે કોઈ ખાસ રાજકિય જૂથના ‘વિશેષ’ ખાસ ના હોવાનું મનાતા એસ.પી. સાહેબ પાસે જોકે ભરૂચ જિલ્લાને અનેક અપેક્ષાઓ હોય, એ બહુ સ્વાભાવિક છે, એની સાથે એક આશા એવી પણ ખરી કે તેઓ તેમનો ‘ટેન્યોર’ પૂરો પણ કરે, ભરૂચની યોગ્ય, અનિવાર્ય એવી અપેક્ષાઓ પુરી પણ કરે…અને યાદગાર છાપ પણ છોડી જાય…

નવા એસ.પી. પાસે એમની લાસ્ટ જાહેર મિટિંગ બી.ડીવઝનમાં ઓડિટ સમયે મળી, ત્યારે બહુ નીડર પણે લોકોએ રજુઆત કરી, જેમાં ડ્રગસની વિસ્તરતિ જતી પ્રવૃતિએ ખરેખર ગંભીર સમસ્યા સર્જી છે. જાહેરમાં બોલાય છે કે દારૂ કરતાં વધુ સરળતાથી પડીકીઓ માં ચરસ, ગાંજો ભરૂચના તમામ વર્ગના કુમળી વયના, સ્કૂલ-કોલેજના બાળકો,અરે યુવતીઓ સુધી આ દુષણ બહુ ઝડપથી પ્રસરી ચૂક્યું છે. જે ભારે સામાજિક ગુન્હાખોરીનું કેન્દ્ર બની જશે. નશા માટે અસંખ્ય અડ્ડાઓ ખુલ્યાની ફરિયાદો થઈ રહી હોય તો પોલીસે સ્પેશિયલ સેલ બનાવી, જનજાગૃતિ અભ્યાન ચલાવી આવા તત્વોને જેર કરવા જ જોઈએ…આ દુષણ દારૂ કરતાં વધુ ખતરનાક અને ઘાતક છે…

બીજી પણ એક ગંભીર ચર્ચા રાજકિય અને પોલિસ વિભાગમાં પણ જોવા-જાણવા મળી રહી છે, અને તે છે કેટલાક ઠેકાણે રોહિંગયાની ઘૂસણખોરીની. જો આ અંગે પણ પોલિસ વિભાગ સ્વયં ગુપ્તચર તંત્ર વ્યાપક, પ્રવૃત્ત કરે તો ઘણું બધું બહાર આવે. પ્રજાએ પણ નિર્ભય પણે આવું શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે, તો વિશ્વાસ ભેર પોલિસના ધ્યાને લાવવું જોઈએ, શુ વિભાગ આ માટે કોઈ વિશેષ વ્યવસ્થા ઉભી ના કરી શકે.??

ભરૂચના પોલિસ તંત્ર માટે સહુથી સળગતી, પડકાર ભરી સમસ્યા હોય તો એ ટ્રાફિક ની છે. ખબર નહીં BTET ને કોનું અને કયું ગ્રહણ લાગ્યું છે, જે ટ્રાફિક નિયમનના કાર્યથી લગભગ વિમુખ દેખાય છે. નવા એસપી સાહેબે પુનઃ ઇનીસિયેટિવ લઈને ભરૂચની પ્રજાની સુવિધાઓ માટે કંઈક તો કરવુંજ પડશે. ભરૂચમાં એક તરફ તહેવારો પર તહેવારો આવી રહ્યા છે, ત્યારે કોઈ છમકલું કે મોટી બબાલ ના થાય એ માટે સહુથી પેહલા ટ્રાફિકનું નેટવર્ક ગોઠવવું અનિવાર્ય છે. રક્ષા બંધન, મેળાઓ, મેઘરાજા, ગણપતિ ઉત્સવો, નવરાત્રી થી લઈ દિવાળી સુધી ચારે કોર ઉત્સવોનો માહોલ છે, એવા સમયે જિલ્લા પોલિસ વડા અને ડિપાર્ટમેન્ટ પાસે પ્રજાની અપેક્ષા ચોખ્ખા હળવા ટ્રાફિક સાથેના, લારી ગલ્લાઓ વિનાના માર્ગો બહુજ અગત્યના બને છે. ભરૂચના નેતાઓથી તો પ્રજા હારી, થાકી છે, નથી કોઈ મોટા પાર્કિંગ, નથી કોઈ કાયમી હોકર્સ ઝોન…આડેધડ પાર્કિંગ…ચારે તરફ લારીઓ અને ગલ્લાઓ…ભયાનક અંધાધૂંધી વચ્ચે જીવતા ભરુચીઓને શહેરમાં જો ચાવડા સાહેબ થોડું પણ સરળ જીવન આપશે, તો પ્રજા એમની ઋણી બની રહેશે. શક્તિનગર, હોસ્ટેલ પાસે-રિલાયન્સ મોલની સામે, સ્ટેશન-પાંચબત્તી રોડ, તુલસીધામ સબ્જી મંડી…6..7 પોઇન્ટ પર આ તહેવારો દરમ્યાન પોલીસનું કડક નિયંત્રણ અનિવાર્ય છે. જિલ્લા પોલીસ વડાનો હોદ્દો મોટો છે, એ નિઃશંક, પણ આ નાનું કામ પણ બહુ યશપ્રદ અને પ્રજા હિતનું છે. મને 20 વર્ષ પહેલાના લલ્લુભાઇ ચકલાની લારીઓનો ત્રાસ અને એની માત્ર નામથી જ ઉકેલ લાવનાર બે પોલિસ અધિકારીઓના નામ આજે પણ મોંઢે છે, એક પીઆઇ ગોહિલ સાહેબ અને બીજા મારા મિત્ર એવા પી.પી.કાનાણી…જેના બુલેટના અવાજ માત્રથી લારીઓ વાળા લારીઓ મૂકી ભાગી છૂટતા હતા…અને આજે?? વ્હિશલ મારી માત્ર ચેતવીને લારીઓ ભગવતી પોલિસ અને યથાવત ત્રાસ ભોગવતી પ્રજા…કેવોસ કહેવાય એવી હાલત ભરુચીઓની છે. જિલ્લા કલેકટરશ્રી એ પણ જો ખરેખર લિવેબલ-લવેબલ ભરૂચ બનાવવું હોય તો ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં થોડો રસ લેવો જોઈએ…🙏✍️

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version