Published by : Anu Shukla
- શક્તિનાથ, પાંચબત્તી, સ્ટેશન, કોલેજ અને ઝાડેશ્વર રોડના ખાણીપીણીના વ્યવસાયિકોએ સમયમાં બાંધછોડ આપવા કરી માંગ
ભરૂચ શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી પોલીસ દ્વારા રાતે 11 વાગ્યે ખાણીપીણીની લારીઓ અને બજાર બંધ કરાવતા સમયમાં છૂટછાટ આપવા વ્યાવસાયિકોએ કલેકટરને રજુઆત કરી છે.
ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા પોલીસે રાતે મોડે સુધી ધમધમતા ફૂડ બજાર ઉપર સમય પાબંદીની અંકુશ રેખા ખેંચી હતી.
પોલીસ દ્વારા શહેરમાં શક્તિનાથ, સ્ટેશન રોડ, કોલેજ, ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં મોડી રાત સુધી ધમધમતી ખાણીપીણીની લારીઓ, દુકાનો, હાટડીઓ, રેસ્ટોરન્ટ રાતે 11 વાગ્યાના ટકોરે બંધ કરાવવાનું શરૂ કરાયું હતું.
જેને લઈ આજે મંગળવારે શક્તિનાથથી સ્ટેશન અને ઝાડેશ્વર સુધીના ખાણીપીણીનો વ્યવસાય કરતા વ્યવસાયિકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે. ઔદ્યોગિક ભરૂચ શહેરમાં સેકન્ડ શિપમાં છૂટતા કર્મચારીઓ અને લારીધારકોના વ્યવસાયને લઈ રાતે મોડે સુધી ફૂડ બજાર કાર્યરત રાખવા દેવામાં આવે તેવી માંગ કરાઈ છે.
લારીધારકોએ આક્ષેપ પણ કર્યો હતો કે પોલીસ છેલ્લા 15 દિવસથી 10.30 કલાકે તેમની લારીઓ અને દુકાનો બંધ કરાવવા આવી જાય છે અને તેમની સાથે ખરાબ વર્તન પણ કરે છે.